ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ સરકારને યાદ આવ્યું જોખમઃ વલસાડમાં એકસાથે 5 બ્રિજ ભારે વાહનો માટે કરાયા બંધ
File Photo |
Valsad 5 Bridge Closed For Heavy Vehicles: ગુજરાતમાં જાણે હવે પદ્ઘતિ બની ગઈ છે કે, કોઈ મોટી દુર્ઘટના બને, જાનહાનિ થાય અને ત્યારબાદ તંત્ર અને સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવે છે અને થોડા સમય બાદ બધું જેમનું તેમ ચાલવા લાગે છે. વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ સરકાર ફરીથી સફાળી જાગી છે. આ દુર્ઘટના બાદ વલસાડ જિલ્લામાં નેશનલ હાઇવે 56 પર આવેલા 5 મુખ્ય બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર બંધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, 41.56 ટકા વિદ્યાર્થીઓ પાસ
મળતી માહિતી મુજબ, હાલ બ્રિજોનું સ્ટ્રક્ચરલ ઓડિટ શરૂ કરવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા ટેક્નિકલ સરવે પણ હાથ ધરાયો છે. જિલ્લા કલેક્ટર વૈભવ વર્મા દ્વારા વલસાડના 5 મુખ્ય બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. આ નિર્ણય NHAI અને નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ સાથે બેઠક કરીને લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, વલસાડમાં 235 બ્રિજ છે. જેમાંથી 162 મુખ્ય બ્રિજ છે.
કયા બ્રિજ કરાયા બંધ?
- વલસાડ-લીલાપોર બ્રિજ
- વાપી નજીક દેગામ ખાડીનો બ્રિજ
- કોકલ નદીનો બ્રિજ
- ધરમપુર પાસે કરંજવેરીનો બ્રિજ
- તાન નદીનો બ્રિજ
આ પણ વાંચોઃ પુત્રના અભ્યાસ અને ભાઈની બીમારીની સારવાર માટે વ્યાજખોરની ચુંગલમાં ફસાતો રિક્ષા ડ્રાઇવર
આ સિવાય નાનાપોંઢા નજીક વડખંભા પાર નદીના બ્રિજને સ્ટેબિલિટી ચેક સુધી બંધ રખાયો છે. જ્યાં સુધી આ બ્રિજનું સમારકામ પૂરું ન થાય અને ફરી તમામ વાહનો માટે ખુલ્લા મૂકવાની જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી લોકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.