વડોદરાના મિનિ નળસરોવર વઢવાણાની 100 વર્ષ જૂની કેનાલોના મુદ્દે રહીરહીને તંત્ર જાગ્યું
80 ટકા પાણી ખેતરોમાં નહિં પહોંચતું હોવાની વર્ષોથી બૂમો હતી,નવી કેનાલ ક્યારે બનશે તે કહેવાય નહિં
Updated: May 29th, 2023
વડોદરાઃ વડોદરા જિલ્લાના મિનિ નળ સરોવર તરીકે ઓળખાતા વઢવાણા સિંચાઇ તળાવની કેનાલો રીપેરિંગના મુદ્દે રહીરહીને તંત્ર દ્વારા કામગીરી શરૃ કરવામાં આવી છે.જો કે,આ કામગીરી ક્યારે પુરી થશે અને નવી કેનાલો ક્યારે બનશે તે અંગે કોઇ જ જાણકારી નથી.
ગાયકવાડી શાસન સમયે વડોદરા જિલ્લામાં બનાવવામાં આવેલા ૧૮ સિંચાઇ તળાવોમાં આજવા તળાવ પછી વઢવાણા સિંચાઇ તળાવ મહત્વનું સ્થાન ધરાવે છે.જેના પાણીનો લાભ ડભોઇ અને સંખેડા તાલુકાના ગામોને મળે છે.
વઢવાણા તળાવમાં લાંબા સમયથી કેનાલોની મરામતને અભાવે પાણી લીકેજ થવાની બૂમો પડતી હતી.આ કેનાલનું ૮૦ ટકા પાણી વહી જતું હતું અને માત્ર ૨૦ ટકા જ પાણી ખેડૂતો સુધી પહોંચતું હોવાની બૂમો પડતી હતી.
આખરે,આ કેનાલોને સ્થાને નવી કેનાલો કરવા માટે તંત્ર જાગ્યું છે અને સિંચાઇ વિભાગ દ્વારા સર્વે શરૃ કરવામાં આવ્યો છે.જો કે આ સર્વે ક્યારે પુરો થશે અને ત્યારબાદ ક્યારે કેનાલો બનશે તેમજ ખેતરો સુધી ક્યારે પાણી પહોંચશે તે અંગે કોઇ જાણકારી લોકો સુધી પહોંચી નથી.