અમદાવાદ પ્લેન ક્રેશમાં એક જ પરિવારના 5 લોકોના મોત, અંતિમ સેલ્ફી વાઈરલ થતાં લોકો થયા ભાવુક
Ahmedabad Plane Crash : અમદાવાદ એરપોર્ટ પાસે એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થવાની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 204 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. મૃતકોમાં રાજસ્થાનના એક જ પરિવારના પાંચ લોકોના પણ મોત થયા છે. બાંસવાડા જિલ્લાના રહેવાસી ડૉ.પ્રદીપ વ્યાસની ફેમિલીની તસવીર સામે આવી છે, જેમાં તેઓ, તેમની પત્ની ડૉ.કોની વ્યાસ અને તેમના ત્રણ બાળકો પ્રદ્યુત જોશી, મિરાયા જોશી અને નકુલ જોશી દેખાઈ રહ્યા છે. આ આખો પરિવાર લંડન જવાની ખુશીમાં હસતો જોવા મળી રહ્યો છે.
પ્લેનમાં ડૉક્ટર દંપતીએ બાળકો સાથે સેલ્ફી પાડી
ડૉ.પ્રદીપ વ્યાસ પત્ની અને બાળકો સાથે લંડન જઈ રહ્યા હતા. તેઓ ફ્લાઈટમાં બેઠા ત્યારે પરિવાર સાથે એક સેલ્ફી તસવીર પણ મોબાઈલમાં કંડારી હતી, જોકે આ સેલ્ફી તેમના પરિવારની જિંદગીની છેલ્લી સેલ્ફી બની ગઈ છે. તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે, તેઓનો આખો પરિવાર ખુબ જ ખુશીથી લંડન જવા માટે રવાના થયો હતો. જોકે પ્લેન ક્રેશ થતા આખા પરિવારોની દર્દનાક મોત થઈ છે.
પત્ની લંડન શિફ્ટ થઈ રહી હતી
ડૉ.પ્રદીપ વ્યાસના પત્ની ડૉ.કોની વ્યાસ ઉદયપુરના પેસિફિક હોસ્પિટલમાં કામ કરતા હતા, જ્યારે તેમના પતિ ડૉ.પ્રદીપ લંડનમાં ડોક્ટર હતા. કોની પતિ સાથે લંડનમાં શિફ્ટ થવાની હતી, તેથી તેમણે થોડા દિવસ પહેલા ઉદયપુરની નોકરી છોડી દીધી હતી. ઉદયપુરના પેસિફિક હોસ્પિટલ મેનેજમેન્ટે કહ્યું કે, ડૉકોની વ્યાસે એક મહિના પહેલા જોબ છોડી દીધી હતી. તેઓ તેમના પતિ સાથે લંડન જવાના હતા, તેથી તેમણે રાજીનામું આપી દીધું હતું. ડૉ.કોની વ્યાસની વધુ એક તસવીર સામે આવી છે, જેમાં તેમનો પરિવાર ઘરમાં એક સાથે જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ
આજે (12 જૂન) એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર એઆઈ-171 અમદાવાદના સરદાર વલ્લભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા માટે રવાના થયું હતું. આ દરમિયાન ફ્લાઈટ ટેકઓફ થવાની સાથે જ થોડીક સેકન્ડોમાં મેઘાણીનગર વિસ્તારમાં ઇન્ટર્ન ડૉક્ટરની હોસ્ટેલ સાથે ધડાકાભેર અથડાયું હતું. આ ઘટનામાં અત્યાર સુધીમાં 204 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઘટનામાં રાજસ્થાનના 11 લોકોના મોત થયા છે, જેમાં ઉદયપુર, બાંસવાડા, બીકાનેર અને બાલોતરા જિલ્લાના રહેવાસીનો સમાવેશ થાય છે.