અગાઉ અમદાવાદમાં 1988માં પ્લેન ક્રેશ થયું હતું, 133 લોકોના મોત થયા હતા, જાણો ભારતમાં વિમાન દુર્ઘટનાનો ઇતિહાસ
Major Plane Crashes in India : ગુજરાતના અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે. એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ઍરપોર્ટ પરથી ટેક ઑફ થતાંની સાથે જ થોડીક જ સેકન્ડમાં મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું છે. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. વિમાનમાં કુલ 242 લોકોમાં 169 ભારતીય મુસાફરો, 53 બ્રિટિશ મુસાફરો, સાત પોર્ટુગીઝના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક અને 12 ક્રૂ મેમ્બર સવાર હતા. મેઘાણીનગર સ્થિત એક બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયા બાદ ફ્લાઇટમાં ભયાનક આગ લાગી હતી. હાલ એનડીઆરએફ સહિત તમામ ટીમો રેસ્ક્યુ-ઓપરેશન કરી રહ્યા છે.
વિમાનમાં પૂર્વ સીએમ રુપાણી પણ હોવાની પણ આશંકા
પ્રાથમિક તપાસમાં ફ્લાઇટના એન્જિનમાં ટેકનીકલ ખામી હોવાનું અને ફ્લાઇટના પાછળના ભાગે કોઈક વસ્તુ અથડાઈ હોવાની વિગતો સામે આવી છે. ઘટનામાં મૃત્યુઆંકની હાલ કોઈ પુષ્ટિ થઈ નથી. ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાની આશંકા સેવાઈ રહી છે, જો કે તે અંગે પુષ્ટિ થઈ નથી. ઘટનાની તપાસ શરુ કરી દેવાઈ છે. અમદાવાદમાં બનેલી આ ઘટનાએ ફરી ભારતમાં વિમાનોની સુરક્ષા પર સવાલ ઊભા કરી દીધા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, સૌથી વધુ ઘટના ટેક ઑફ અને લેન્ડિંગ વખતે બને છે. એવિએશન સેફ્ટીના આંકડા અનુસાર વર્ષ 2023માં વિશ્વભરમાં વિમાન દુર્ઘટનાની કુલ 109 ઘટના બની છે, જેમાં 37 ઘટના ટેક ઑફ વખતે થઈ છે.
આ પણ વાંચો : અમદાવાદમાં એર ઇન્ડિયાનું લંડન જતું વિમાન ક્રેશ: 242 લોકો હતા સવાર, જુઓ મુસાફરોની યાદી
ભારતમાં વિમાન દુર્ઘટનાનો ઇતિહાસ
ભારતમાં વિમાન દુર્ઘટનાઓનો લાંબો ઇતિહાસ છે. આવી ઘટનાઓ હંમેશા ટેક્નિકલ ખરાબી, માનવીય ભૂલ અથવા ખરાબ હવામાનને કારણે બને છે. ભારતમાં વર્ષ 1972થી લઈને વર્ષ 2025 સુધીમાં આવી કુલ 10 ઘટનાઓ બની છે.
14/06/1972 - દિલ્હી ઍરપોર્ટ પાસે વિમાન ક્રેશ, 82ના મોત
વર્ષ 1972માં જાપાન એરલાઇન્સની ફ્લાઇટ નંબર-417 નવી દિલ્હી પાસેના પાલન ઍરપોર્ટ પર લૅન્ડ થવાની હતી, જોકે તે ઍરપોર્ટ પાસે જ ક્રેશ થઈ ગઈ હતી, જેમાં 82 લોકોના મોત થયા હતા. જ્યાં પ્લેન ક્રેશ થયું, ત્યાં ઉભેલા ત્રણ નાગરિકોના પણ મોત થયા હતા. જાપાને ઘટનાનું કારણ ‘ફૉલ્સ ગ્લાઇડ પાથ સિગ્નલ’ હોવાનું કહ્યું હતું. જ્યારે ભારતે લેટડાઉન પ્રક્રિયાને અવગણવાનું કારણ ગણાવ્યું હતું.
31/05/1973 - દિલ્હીના પાલમ ઍરપોર્ટ પાસે પ્લેન ક્રેશ, 65ના મોત
વર્ષ 1973માં ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ નંબર-440 નવી દિલ્હીના પાલમ ઍરપોર્ટ પર લૅન્ડ થઈ રહી હતી. આ દરમિયાન પાયલોટે લેન્ડિંગ વખતે સામાન્ય ભૂલ કરતાં મોટી દુર્ઘટના બની હતી અને પ્લેન પાલન ઍરપોર્ટ પર જ ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં 65 મુસાફરો સવાર હતા, જેમાંથી 48 મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો.
12/10/1976 - મુંબઈમાં વિમાનનું એન્જિન ફેલ, 95ના મોત
વર્ષ 1976માં ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ નંબર-171નું એન્જિન અચાનક ફેલ થઈ ગયું હતું, જેના કારણે ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. આ ઘટના મુંબઈમાં બની હતી, જેમાં વિમાનમાં સવાર તમામ 95 મુસાફરોના મોત થયા હતા.
01/01/1978 - મુંબઈની અરબી સમુદ્રમાં પ્લેન ક્રેશ, 213ના મોત
મુંબઈના ઍરપોર્ટ પરથી એર ઇન્ડિયાનું બોઇંગ 747 એટલે કે ફ્લાઇટ નંબર-855 ટેક ઑફ થયું હતું, તેની થોડી ક જ મિનિટોમાં પ્લેન મુંબઈના અરબી સમુદ્રમાં જઈને ક્રેશ થયું હતું. આ ઘટનામાં કુલ 213 લોકોએ જીવ ગુમાવ્યો હતો. પ્લેન ક્રેશ થવાનું કારણ પાયલટની ભૂલ અને ઉપકરણોમાં ખરાબી હોવાની વિગતો સામે આવી હતી.
19/10/1988 - અમદાવાદના ઍરપોર્ટથી બે કિમી દૂર પ્લેન ક્રેશ, 135ના મોત
અમદાવાદમાં અગાઉ ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ નંબર IC-113 ક્રેશ થઈ હતી. આ ફ્લાઇટ સરદાર વલ્લભભાઈ પટેલ ઍરપોર્ટથી બે કિલોમીટર દૂર ક્રેશ થઈ હતી. વિમાનમાં 135 લોકો સવાર હતા, જેમાંથી 133ના મોત થયા હતા. માત્ર બે લોકોનો જીવ બચ્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદમાં ઍર ઇન્ડિયા પ્લેન ક્રેશ કેવી રીતે થયું, પ્રાથમિક કારણ આવ્યું સામે, જુઓ VIDEO
12/11/1996 - બે વિમાનો સામસામે અથડાતાં 349 લોકોના મોત
વર્ષ 1996માં ભારતના ઇતિહાસની સૌથી મોટી ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. સાઉદી અરેબિયન એરલાઇન્સ અને કઝાકિસ્તાન એરલાઇન્સની ફ્લાઇટો આકાશમાં જ સામસામે અથડાઈ હતી. આ ઘટનામાં 349 લોકોના મોત થયા હતા. આ ઘટના વિશ્વની સૌથી મોટા વિમાન દુર્ઘટનાઓમાંથી એક છે.
17/07/2000 - પટણા ઍરપોર્ટ, 60 લોકોના મોત
વર્ષ 2000માં એલાઇન્સ એરની ફ્લાઇટ નંબર-7412 લેન્ડિંગ વખતે પટણાના ઍરપોર્ટ પર ક્રેશ થઈ ગઈ હતી. પાયલટનો ફ્લાઇટ પર કાબુ ગુમાવવાના કારણે આ ઘટના બની હતી, જેમાં 60 લોકોના મોત થયા હતા.
22/05/2010 - કર્ણાટક ઍરપોર્ટ પર ફ્લાઇટ રન-વે પર લપસી જતાં ક્રેશ, 158ના મોત
એર ઇન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઇટ નંબર-IX-812 કર્ણાટકના મંગલૌર ઍરપોર્ટ પર લેન્ડિંગ કરી રહી હતી, ત્યારે તે રન-વે પર લપસી જતાં મોટી દુર્ઘટના બની હતી. આ ઘટનામાં 158 લોકોના મોત થયા હતા. આ અકસ્માત ભારે વરસાદ અને રન-વેની સ્થિતિના કારણે થયો હોવાનું મનાય છે.
07/08/2020 - કોઝીકોડમાં પ્લેન દુર્ઘટના, 18ના મોત
એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX-1344 વંદે ભારત મિશનનો એક ભાગ હતી. ફ્લાઇટના પાયલોટે કેરળના કોઝીકોડમાં ભારે વરસાદ વચ્ચે ઍરપોર્ટના રન-વે પર લૅન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ફ્લાઇટ લપસી ગઈ હતી, જેના કારણે બે પાયલોટ સહિત 18 લોકોના મોત થયા હતા.
28/01/2023 - મધ્યપ્રદેશમાં બે વિમાનો અથડાયા હતા
વર્ષ 2023માં મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બે ફાઇટર જેટ્સ સુખોઈ અને મિરાજ-2000 આકાશમાં જ સામસામે અથડાયા હતા. જેમાં એક પાયલોટનું મોત થયું હતું.
આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ : ‘Mayday Call...’ પ્લેન ક્રેશ થતા પહેલા પાયલોટે આપ્યું હતું સિગ્નલ