PHOTOS: અમદાવાદ પ્લેન ક્રેશના ભયાવહ દ્રશ્યો, વિમાન હોસ્ટેલની ઈમારતમાં ઘૂસી ગયું
Plane Crashes in Ahmedabad : અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી એર ઈન્ડિયાની બોઈંગ 787-8 ડ્રીમલાઈનર ફ્લાઈટ ટેકઓફ થયા બાદ થોડી જ મિનિટોમાં મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ છે. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. વિમાનમાં કુલ 242 લોકોમાં 169 ભારતીય મુસાફરો, 53 બ્રિટિશ મુસાફરો, સાત પોર્ટુગીઝના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક અને 12 ક્રૂ મેમ્બર સવાર હતા. વિમાન મેઘાણીનગર સ્થિત એક બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયા બાદ ફ્લાઈટમાં ભયાનક આગ લાગી હતી. હાલ એનડીઆરએફ સહિત તમામ ટીમો રેસ્ક્યુ-ઓપરેશન કરી રહ્યા છે.
પ્લેન ડૉક્ટરોની હૉસ્ટેલ પર ક્રેશ થયું
ફ્લાઈટ ટેકઓફ થયા બાદ બે મિનિટમાં જ ડૉક્ટરોની હૉસ્ટલે પર ક્રેશ થઈ છે, જેની અનેક ભયાનક તસવીરો સામે આવી છે. તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, વિમાનનો પાછળનો ભાગ (ટેલ) મેડિકલ કૉલેજના રેજિડેન્ટ ડૉક્ટર હોસ્ટેલની ઉપર ફસાયેલો છે. વિમાન બિલ્ડિંગ પર ક્રેશ થતાની સાથે જ જોરદાર ધડાકો થયો અને આગ લાગી ગઈ હતી. ત્યારબાદ અહીં ચારેકોર દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. હાલ વિમાનમાં સવાર લોકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.
હોસ્ટેલ પર વિમાન અથડાતાં ભયાવહ દૃશ્યો સર્જાયા
મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડોક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો હાજર હતા.
15 જેટલા રેસિડેન્ટ ડૉક્ટર ઈજાગ્રસ્ત
આ વિમાન જ્યાં તૂટી પડ્યું હતું એ રહેણાંક ઇમારત સિવિલ હૉસ્પિટલની હોવાની માહિતી મળી રહી છે. જેના કારણે 15 જેટલા રેસિડેન્ટ ડૉક્ટરો પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઇમારત આગમાં લપેટાઈ જતાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા.
વિમાનનું બ્લેક બોક્સ તપાસ માટે મોકલાયું
આ દરમિયાન, વિમાનનું અત્યંત મહત્ત્વપૂર્ણ બ્લેક બોક્સ ઍરપોર્ટ ઑથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે. આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્ત્વની જાણકારી પૂરી પાડશે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.