અમદાવાદમાં એક જ દિવસમાં 4 અલગ-અલગ સ્થળે આગની ઘટના, બે લોકો દાઝ્યા, ફાયર બ્રિગેડ દોડતું થયું
Fire in Ahmedabad : હાલ રાજ્યમાં વધતી જતી ગરમીની સાથે આગ લાગવાની ઘટનાઓના બનાવ પણ વધતા જાય છે. ત્યારે આજે અમદાવાદ શહેરના 4 અલગ અલગ વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી. જેમાં અમદાવાદના ચંડોળા અને વટવા વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટી, પ્રહલાદ નગર ખાતે આવેલા વિનસ એટલાન્ટિસ, વટવા જીઆઇડીસી ફેઝ-4ની કેમિકલ ફેક્ટરી, વિઝોલના રામવાડી સ્થિત સિદ્ધપુરા એસ્ટેટ અને બાપુનગર વિસ્તારમાં એક કારમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી. વટવા જીઆઇડીસીમાં લાગેલી આગમાં 2 લોકો દાઝી જતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
અમદાવાદના વિઝોંલમાં વિકરાળ આગ
આજે (શુક્રવારે) વિઝોલના રામવાડી સ્થિત સિદ્ધપુરા એસ્ટેટમાં વિકરાળ આગ લાગી હતી, જેના કારણે આ વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઇ હતી. બે કલાક જેટલો સમય વિતી ગયો હોવાછતાં ફાયરબ્રિગેડના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આગ સંકટ મોચન હનુમાજી મંદિર પરિસરની પાછળ શરૂ થઈ હતી અને થોડીવારમાં જ આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આસપાસ જ્વલનશીલ પદાર્થ હોવાથી આગ ઝડપથી પ્રસરી જતાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ પર કાબૂ મેળવવા માટે હાલ ફાયર ફાઇટર અને 20થી વધુ ફાયર ટેન્કર ઘટનાસ્થળે હાજર છે. આસપાસમાં રહેણાંક અને કોમર્શિયલ હોવાથી આગને પ્રસરતી અટકાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાય નથી. આ આગની ઘટનામાં કોઇને ઇજાના અહેવાલ પણ નથી. આગ વિકરાળ હોવાથી તેના કાબુ મેળવવામાં હજુ સમય લાગી શકે છે. ફાયરના અધિકારીઓએ આસપાસમાં રહેતા લોકોને દૂર ઘસી જવા અને શ્વાસમાં ધુમાડો ન જાય તે માટે દરવાજા અને બારીઓ બંધ રાખવા અપીલ કરી છે. આગ સંપૂર્ણપણે કાબુમાં આવ્યા બાદ તપાસ કરવામાં આવશે.
પ્રહલાદનગરમાં લાગી આગ, અનેક વાહનો બળીને ખાક
પ્રહલાદ નગરના વિનસ એટલાન્ટિસ નામની બિલ્ડિંગના પાર્કિંગમાં આગની ઘટના સામે આવી હતી. આ આગની જાણ થતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, આગની ઘટનામાં અનેક વાહનો બળી ગયા હતાં. વાહનોમાં લાગેલી આગના કારણે તેનું સ્વરૂપ વિકરાળ બની ગયું હતું. જોકે, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિની ઘટના સામે નથી. ફાયર વિભાગ આગ ઓલવ્યા બાદ આગ લાગવાના કારણ વિશે તપાસ હાથ ધરશે. હાલ, આગ લાગવાનું કારણ અકબંધ છે.
પ્રાથમિક તપાસ મુજબ, આગ ભારે ગરમીને કારણે પાર્ક કરેલા ટુ વ્હીલરમાંથી લાગી હોવાનું માનવામાં આવે છે. પાર્કિંગ અને ટુ વ્હીલર પાર્ક કરેલા હોવાથી એક પછી એક 8થી વધુ ટુ વ્હીલર આગની ચપેટમાં ગયા હતા. જો કે સદનસીબે રોડ પરથી પસાર થતાં રાહદારીઓ અને સ્થાનિકો દ્વારા સમયસર જાણ કરવામાં આવતાં અન્ય વાહનોને ખસેડી લેવામાં આવ્યા હતા.
અમદાવાદ ફાયર અને ઇમરજન્સી સર્વિસીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને આગને કાબુમાં લેવા માટે ટીમો ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ આગને કાબુમાં લેવામાં સફળતા મેળવી લીધી છે. આ ઘટનામાં કોઈ ઇજા કે જાનહાનિના અહેવાલ નથી.
આ પણ વાંચો : સુરતમાં પાલનપોર ગૌરવ પથનો મેટ્રોનો સિમેન્ટ પ્લાન્ટ આસપાસના લોકો માટે જોખમી
વટવા GIDCમા ભીષણ આગ
અમદાવાદની વટવા ખાતે આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તાર અને વટવા GIDC ફેઝ-4માં આવેલી જયશ્રી કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. કેમિકલ ડ્રમમાં બ્લાસ્ટ થયા બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી. જેના કારણે આસપાસની 4થી 5 કંપનીઓ આગની ઝપેટમાં આવી ગઈ. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 19 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રાયસો શરૂ કર્યા. આ આગની ઘટનામાં બે લોકો દાઝી જતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
ચંડોળા ખાતે કાટમાળમાં આગ
એક બાજુ છેલ્લાં ત્રણથી ચાર દિવસથી ચંડોળા તળાવ ખાતે ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એવામાં જે ઘર તોડ્યા તેનો કાટમાળ હજુ ત્યાં જ પડ્યો છે. ત્યારે આ કાટમાળમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કાપડ, પ્લાસ્ટિક અને લાકડા સહિતના સામાનમાં આગ લાગી છે. જોકે, હાલ ત્યાં ફક્ત કાટમાળ હતો તેથી જાનહાનિના કોઇ અહેવાલ પ્રાપ્ત થયા નથી. પ્રાથમિક તબક્કે ગરમીના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.