- ગરીબોનું રેશન ચાઉં કરતા તત્વો સામે કાર્યવાહી
- તાલુકામાં 30,354 રેશનકાર્ડ સામે હજુ પણ 3,156 ના કેવાયસી અપડેટ કરવાના બાકી
બાલાસિનોર : બાલાસિનોર તાલુકામાં કેવાયસી અપડેટ કરવાની પ્રક્રિયા દરમિયાન આવા અયોગ્ય જણાતા ૪૫૧ રેશન કાર્ડ તંત્ર દ્વારા રદ કરી દેવામાં આવ્યા છે અને ૧૪૬૮ રેશનકાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી છે.
બાલાસિનોર તાલુકામાં રેશનકાર્ડમાં કેવાયસી અપડેટ કરવાની કાર્યવાહી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાઇ હતી. તાલુકામાં નોંધાયેલા કુલ ૩૦,૩૫૪ કાર્ડ સામે અત્યાર સુધીમાં ૨૭,૨૧૪ના કેવાયસી અપડેટ થઇ ગયા છે. જ્યારે ૩,૧૫૬ કાર્ડના કેવાયસી બાકી છે.
પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, ૧૪૬૮ રેશનકાર્ડ ધારકોને આ અંગે નોટિસ પણ આપવામાં આવી છે. ફોરવ્હીલર હોવાથી, સરકારી કર્મચારી, માસિક આવક ૧૦ હજાર રૂપિયાથી વધારે હોય, કુટુંબનો સભ્ય આવકવેરો ચૂકવતો હોય, પાંચ એકર કે તેથી વધુ પિયત જમીન હોય, સરકારી પેન્શન મેળવતા હોય તેવા પરિવારો મફત કે રાહતદરનું સરકારી અનાજ મેળવવાપાત્ર રહેતા નથી. આવા રેશનકાર્ડ ધારકો સામે કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.


