Gujarat

વિદેશથી આવેલા 25 નાગરિકોને હોટલમાં ક્વોરેન્ટાઈન કરાયા

By GS Team
14 May 20202 mins read
This article was originally published on 14 May 2020
વિદેશથી આવેલા 25 નાગરિકોને હોટલમાં ક્વોરેન્ટાઈન કરાયા

ગાંધીનગર, તા.13 મે 2020, બુધવાર

ગાંધીનગર જિલ્લામાં વાઈરસનું સંક્રમણ અટકાવવા માટે વિદેશથી પરત ફરેલા ગાંધીનગરના નાગરિકોને ફેસેલીટી કવોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે ત્યારે આજે રપ નાગરિકો પરત ફરતાં તેમને વિવિધ હોટલોમાં પેઈડ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. આ સાથે ગાંધીનગર જિલ્લામાં ૧૬૭૭ વ્યક્તિઓ કવોરેન્ટાઈન હેઠળ છે. જેમની ઉપર પણ તંત્ર સતત નજર રાખી રહયું છે અને અવારનવાર તેમના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે.   

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે જેના ભાગરૂપે હવે વિદેશથી પરત ફરતાં ગાંધીનગર જિલ્લાના નાગરિકોને પણ ૧૪ દિવસ કવોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવનાર છે. ગાંધીનગર જિલ્લા કલેકટર કુલદીપ આર્ય દ્વારા વિદેશથી આવતા આવા નાગરિકોના કવોરેન્ટાઈન માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. આજે પરત આવેલા આ રપ જેટલા નાગરિકોએ પેઈડ કવોરેન્ટાઈન એટલે કે હોટલમાં રહેવાનું પસંદ કર્યું હતું.

આજે રાત્રે પણ કુવૈત અને યુકેમાંથી વધુ નાગરીકો પરત આવશે. બીજી બાજુ ગાંધીનગર જિલ્લામાં હાલ ૧૬૭૭ લોકો કવોરેન્ટાઈન હેઠળ છે જે અંગે જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલે જણાવ્યું હતું કે ગઈકાલ સાંજ સુધીમાં જિલ્લામાં કવોરેન્ટાઈન કરેલા વ્યક્તિઓ ઉપર નજર કરીએ તો ગાંધીનગર તાલુકામાં ૧ર૦ પૈકી ૧૦૩ને હોમ કવોરેન્ટાઈન જયારે ૧૭ને ફેસેલીટીમાં કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે જયારે માણસા તાલુકામાં ૨૪૯ વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન અને ૨૩ને ફેસેલીટી કવોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

કલોલ તાલુકામાં સૌથી વધુ ૧૧૩૪ વ્યક્તિઓને કવોરેન્ટાઈન કરાયા છે જેમાં ૧૦૫૩ હોમ કવોરેન્ટાઈન અને ૧રને ફેસેલીટી કવોરેન્ટાઈન તેમજ ૫૯ વ્યક્તિઓને ખાનગી ફેસેલીટી કવોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે .દહેગામમાં ૧૫૧ વ્યક્તિ કવોરેન્ટાઈન કરાયા છે જેમાં ૧૪૬ હોમ અને પાંચને ફેસેલીટી સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.

જિલ્લામાં અત્યાર સુધી ૧૭૨૮ વ્યક્તિઓના ટેસ્ટ કરાયા છે જે પૈકી ૮૬ પોઝિટિવ કેસ અને ૧૬૪૨ નેગેટીવ આવ્યા છે. તો કલોલ તાલુકાના બોરીસણા, રતનપુર, નાસ્મેદ, સાંતેજ, રાંચરડા ગામની પણ જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી હતી અને વિવિધ કામગીરીનું નિરિક્ષણ પણ કર્યું હતું.