સુરેન્દ્રનગરના રતનપર અને વઢવાણમાં કોરોના પોઝિટિવના વધુ 2 કેસ મળ્યા

સુરેન્દ્રનગર, તા.17 જૂન 2020, બુધવાર
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં વધુ બે કોરોના પોઝીટીવ કેસો નોંધાતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને રોજ અંદાજે બે થી ત્રણ કોરોના પોઝીટીવ કેસો જિલ્લામાં નોંધાઈ રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં વધુ બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં જેમાં વઢવાણ ઉપાસના સર્કલ પાસે આવેલ એલઆઈસી સોસાયટીમાં રહેતાં ૩૮ વર્ષના પુરૃષ અને રતનપર વાલ્મીકીવાસમાં રહેતાં ૨૪ વર્ષના યુવકને કોરોના પોઝીટીવ આવતાં સારવાર અર્થે સુરેન્દ્રનગર સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં જ્યારે પ્રાથમિક તપાસમાં બંન્ને દર્દીઓની ટ્રાવેલ હીસ્ટ્રી બહારગામની હોવાનું બહાર આવ્યું હતું. તેમજ આ સાથે જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક ૮૨ ઉપર પહોંચ્યો હતો જ્યારે શહેરી વિસ્તારમાં એક સાથે બે કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ દર્દીઓના રહેણાંક વિસ્તારમાં જઈ સ્થાનિક વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી ક્વોરન્ટાઈન, સેનેટાઈઝેશન સહિતની કામગીરી હાથધરી હતી.




