ગુજરાતમાં કોરોનાના 167 નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા 615ને પાર
Covid Cases In Gujarat : દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 4,866 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 564 નવા કેસ નોંધાયા છે. કોરોનાને કારણે સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ગુજરાતમાં આજે ગુરુવારે (5 જૂન) કોરોનાના નવા 167 કેસ નોંધાયા છે.
કોરોનાના 167 નવા કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 167 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 615 પર પહોંચી ગઈ છે. જેમાંથી 15 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 600 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 60 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.
વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના પૂર્વ ઝોન વિસ્તારમાં આવેલા રામદેવ નગરમાં 1, પશ્ચિમ ઝોન વિસ્તારના દિવાળીપુરા અને ભાયલી વિસ્તારમાં 4, જ્યારે ઉત્તર ઝોન વિસ્તારના છાણીમાં 1 મળી કુલ 6 કોરોના પોઝિટિવ કેસ જણાઈ આવ્યા છે. કોર્પોરેશન દ્વારા રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચાલતી કામગીરી દરમિયાન આ કોરોના પોઝિટિવ કેસ જાણવા મળ્યા છે. કોરોના સંબંધિત કુલ 34 સેમ્પલ તપાસવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે.
આ પણ વાંચો: કોરોના કેસના એક્ટિવ કેસનો આંકડો 5 હજારની નજીક, 24 કલાકમાં 7 દર્દીઓના મોત
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી બે દર્દીના મોત
સરકારી આંકડા અનુસાર, દિલ્હીમાં કુલ 562 કોરોનાના સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં અહીં બે દર્દીઓના મોત થયા છે. જેમાં પાંચ મહિનાની એક બાળકી અને 87 વર્ષનો એક પુરુષનો સમાવેશ થાય છે. બાળકીને શ્વાસ લેવામાં તકલીફની સાથે ન્યુમોનિયા પણ હતો. આ ઉપરાંત 87 વર્ષીય વૃદ્ધને હૃદય અને કિડનીની સમસ્યાઓ સહિત અન્ય સમસ્યાઓ પણ હતી.