કોરોના કેસના એક્ટિવ કેસનો આંકડો 5 હજારની નજીક, 24 કલાકમાં 7 દર્દીઓના મોત
Covid Cases In India: દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 4,866 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 564 નવા કેસ નોંધાયા છે. કોરોનાને કારણે સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. દિલ્હીમાં 105 નવા કેસ નોંધાયા છે. 3955 લોકો સ્વસ્થ પણ થયા છે.
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી બે દર્દીના મોત
સરકારી આંકડા અનુસાર, દિલ્હીમાં કુલ 562 કોરોનાના સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં અહીં બે દર્દીઓના મોત થયા છે. જેમાં પાંચ મહિનાની એક બાળકી અને 87 વર્ષનો એક પુરુષનો સમાવેશ થાય છે. બાળકીને શ્વાસ લેવામાં તકલીફની સાથે ન્યુમોનિયા પણ હતો. આ ઉપરાંત 87 વર્ષીય વૃદ્ધને હૃદય અને કિડનીની સમસ્યાઓ સહિત અન્ય સમસ્યાઓ પણ હતી.
કર્ણાટકમાં એક 65 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે. તેમને બ્લડ પ્રેશરની સમસ્યા હતી અને તેઓ છેલ્લા ચાર મહિનાથી કીમોથેરાપી લઈ રહ્યો હતો. આ ઉપરાંત 42 વર્ષીય એક પુરુષ જે કોરોના પોઝિટિવ દર્દી હતો તેનું પણ મૃત્યુ થયું છે. મહારાષ્ટ્રમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમાં બે 73 વર્ષીય વૃદ્ધ અને એક 79 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. ત્રણેય કોરોના પોઝિટિવ હતા પરંતુ તેમને અન્ય રોગો પણ હતા.
આ પણ વાંચો: દ્વારકાના ગોમતી ઘાટમાં જામનગરના 7 યુવક-યુવતીઓ ડૂબ્યા, એક યુવતીનું મોત
ગુજરાતમાં 500થી વધુ સક્રિય કેસ
અન્ય રાજ્યોની વાત કરીએ તો કેરળમાં સૌથી વધુ 1487 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં અહીં 114 નવા કોરોના કેસ નોંધાયા છે. દિલ્હી, મહારાષ્ટ્ર, બંગાળ અને ગુજરાતમાં પણ 500થી વધુ સક્રિય કેસ છે.
સૌથી ઓછા કેસ ધરાવતા રાજ્યોની વાત કરીએ તો, તેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, ચંદીગઢ, ગોવા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, મિઝોરમ, સિક્કિમ, તેલંગાણા, ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં કોરોના કેસની સંખ્યા 10થી ઓછી છે.