જામનગર જિલ્લાની તમામ શાળાઓમાં રાજ્ય સરકારની 32 મુદ્દાની માર્ગદર્શિકાનો અમલ ફરજિયાત પણે કરાવવાનો જિલ્લા શિક્ષણાધિકારીનો આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર જિલ્લાના તમામ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી 32 મુદ્દાની માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ કરવા જિલ્લા શિક્ષણ અધિકારીએ સૂચના આપી છે.
રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા, શૈક્ષણિક વાતાવરણ, શાળાકીય શિસ્ત, સ્વચ્છતા, માનસિક આરોગ્ય અને બાળ સુરક્ષાને કેન્દ્રમાં રાખીને 32 મુદ્દાની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકાનું પાલન દરેક શાળા માટે ફરજિયાત હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
જિલ્લા શિક્ષણ અધિકારી (ડી.ઇ.ઓ.) દ્વારા જામનગર જિલ્લાની તમામ શાળાઓના સંચાલકો, આચાર્યો અને શિક્ષણ સંસ્થાઓને આ માર્ગદર્શિકાનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, શિસ્ત, સ્વચ્છતા, શિક્ષકોની જવાબદારી, વાલીઓ સાથેનો સંકલન અને વિવિધ પ્રવૃત્તિઓ અંગે નિયમિત દેખરેખ રાખવા પણ ભાર મૂકવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, માર્ગદર્શિકામાં વિદ્યાર્થીઓના હિતને પ્રાથમિકતા આપતા સુરક્ષિત અને સકારાત્મક શૈક્ષણિક માહોલ ઉભો કરવા, શાળા પરિસરમાં જરૂરી સુવિધાઓ જાળવવા, વિદ્યાર્થીઓ સાથે સંવેદનશીલ વ્યવહાર રાખવા તેમજ વિવિધ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓને અટકાવવા માટે જરૂરી પગલાં લેવાની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે રાજ્ય સરકારની માર્ગદર્શિકાનો અમલ માત્ર કાગળ પર નહીં પરંતુ વ્યવહારમાં પણ દેખાય તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે. આગામી સમયમાં આ અંગે મોનિટરિંગ અને ચકાસણી પણ હાથ ધરવામાં આવી શકે છે.









