મોટા વરાછા લજામણી ચોકના મંદિરનો વિવાદ: સ્વામીનારાયણ મંદિરે સ્વામીને ટપલીદાવ કરી તોડફોડમાં 13 હરિભક્તોની ધરપકડ
Updated: Sep 13th, 2021
- વડતાલના લક્ષ્મી નારાયણ ટ્રસ્ટને મંદિરનો વહીવટ સોંપવાના મુદ્દે હંગામો થયો હતોઃ 8 મહિલા સહિત હરિભક્તો સામે ફરિયાદ નોંધાઇ હતી
સુરત
મોટા વરાછાના શ્રી સ્વામીનારાયણ મંદિરનો વહીવટ વડતાલના લક્ષ્મી નારાયણ ટ્રસ્ટને સોંપવાના મુદ્દે થયેલા વિવાદમાં મંદિરમાં પૂજા, હવન સહિતના ધાર્મિક કાર્યક્રમમાં ખલેલ પહોંચાડી અપશબ્દો ઉચ્ચારી સ્વામી સાથે ટપલીદાવ કરવાના પ્રકરણમાં સીસીટીવી ફૂટેજના આધારે અમરોલી પોલીસે 8 મહિલા સહિત 13ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોટા વરાછાના લજામણી ચોક સ્થિત શ્રી સ્વામીનારાયણ મંદિરની સ્થાપના 2011માં કરવામાં આવી હતી. આ મંદિરના ડેવલોપમેન્ટથી લઇ સેવાકીય પ્રવૃત્તિ કરતા સ્વામી નિર્દોષચરણદાસજીએ મંદિરના વિકાસમાં માટે 2014માં ટ્રસ્ટી મંડળની રચના કરી હતી અને જમીન ખરીદી હતી. મંડળની રચના વખતે એક ડીડ બનાવી હતી જેમાં મંદિરનો વિકાસ થઇ ગયા બાદ તેનો સમગ્ર વહીવટ વડતાલના લક્ષ્મી નારાયણ ટ્રસ્ટને હસ્તગત કરી દેવાનો રહેશે. જેથી સ્વામીએ 7 પૈકીના 5 ટ્રસ્ટીની સંમતિથી વહીવટ વડતાલના ટ્રસ્ટને હવાલે કરી દેતા હરિભક્તોમાં નારાજગી થઇ હતી. જેથી નારાજ હરિભક્તોએ મંદિરમાં દર્શન કરવાના બ્હાને આવી પૂજા, હવન જેવા ધાર્મિક કાર્યક્રમમાં ખલેલ પહોંચાડી અપશબ્દો ઉચ્ચારી તોડફોડ કરવા ઉપરાંત દાનપેટીમાંથી રોકડ ચોરી કરી હતી અને સ્વામી સાથે ટપલીદાવ કર્યો હતો. જેને પગલે સ્વામી નિર્દોષચરણદાસજીએ આ અંગે હરિભક્તો વિરૂધ્ધ દસેક દિવસ અગાઉ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત પોલીસે 8 મહિલા સહિત 13ની ધરપકડ કરી છે.
કયા કયા હરિભક્તોની ધરપકડ થઇ
ધીરૂભાઇ નાથુભાઇ ગોંડલીયા (ઉ.વ. 61 રહે. રૂષી બંગ્લોઝ, મોટા વરાછા), ચીમન ડાહ્યા ધડુક (ઉ.વ. 54 રહે. પરમેશ્વર પાર્ક સોસાયટી, નાના વરાછા), પ્રવિણ લાલજી દેસાઇ (ઉ.વ. 54 રહે. શાંતિનિકેતન ફ્લોરા, મોટા વરાછા), ચતુર રામભાઇ સુહાગીયા (ઉ.વ. 51 રહે. કૃષ્ણકુંજ સોસાયટી, નાના વરાછા), જગદીશ મોહન તળાવીયા (ઉ.વ. 58 રહે. વિશ્વનાથ સોસાયટી, મોટા વરાછા), ભવનિકા ભાનુભાઇ ભાલાળા (ઉ.વ. 25 રહે. રોયલ રેસીડન્સી, પેડર રોડ, મોટા વરાછા), શારદાબેન ભુપત બરવાળીયા (ઉ.વ. 59 રહે. શ્રીનાથજી બંગ્લોઝ, મોટા વરાછા), ચંદ્રિકા રસીક કાબરીયા (ઉ.વ. 45 રહે. રાધેશ્યામ સોસાયટી, મોટા વરાછા), ધારાબેન ઉમેશ ધેવરીયા (ઉ.વ. 32 રહે. શિવ પાર્ક બંગ્લોઝ, મોટા વરાછા), ભાનુબેન ધીરૂભાઇ ગોંડલીયા (ઉ.વ. 60 રહે. રૂષિ બંગ્લોઝ, મોટા વરાછા), શિલ્પાબેન હસમુખ માંડાણી (ઉ.વ. 39 રહે. જૈમીની કોમ્પ્લેક્ષ, મોટા વરાછા), રમીલાબેન હસમુખ શેલડીયા (રહે. 50 રહે. મોમાઇ કોમ્પ્લેક્ષ, મોટા વરાછા), લીલાબેન બાવચંદ વેકરીયા (ઉ.વ. 65 રહે. સાગર રો હાઉસ, મોટા વરાછા)