આ વર્ષે નિકોલની 22થી વધુ સોસાયટીમાં પ્રથમ વખત પરંપરાગત 'વૈદિક હોળી' થશે
નિકોલ વિસ્તારની સોસાયટીઓ પર્યાવરણ બચાવવા અને પરંપરાગત રીતે વૈદિક હોળી કરવા સૌથી વધારે આગળ આવી છે
Updated: Mar 5th, 2020
વૈદિક હોળીની સુવાસ સમગ્ર અમદાવાદ શહેરમાં ફરી વળી છે. શહેરની દરેક સોસાયટી ઇચ્છે છે કે આ વર્ષે તેમને ત્યાં પણ વૈદિક રીતે હોળી પ્રગટે. લાકડાનો વપરાશ બિલકુલ ન થાય અને માત્ર છાણાંની હોળી થાય તેના માટે સૌ કોઇ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અમદાવાદના તમામ વિસ્તાર કરતા નિકોલ વિસ્તારની સોસાયટીઓ પર્યાવરણ બચાવવા અને પરંપરાગત રીતે વૈદિક હોળી કરવા સૌથી વધારે આગળ આવી છે. નિકોલમાં ૨૬થી વધુ સોસાયટીમાં આ વર્ષે વૈદિક પરંપરાથી હોળી પ્રગટાવાશે, જેમાં ૨૨ સોસાયટી પ્રથમ વખત આ નવતર પ્રયોગ કરી રહી છે.
પર્યાવરણ માટે પૈસા સામે જોવું મુર્ખામી ભર્યું છે
અમારી સોસાયટીમાં દર વર્ષે હોળીકા દહનમાં લાકડાનો જ ઉપયોગ થતો હતો આ વર્ષે વૈદિક રીતે હોળી પ્રગટાવીશું. પુરાતન કાળમાં આ રીતે જ હોળી પ્રગટાવાતી હતી જેથી પ્રદૂષણનું પ્રમાણ ખૂબ નીચું હતું. વૈજ્ઞાાનિક રીતે સાબીત થયું છે કે ૩૨ ઔષધિઓને હોમવાથી દરેકના સ્વાસ્થ્યમાં ખૂબ જ સારો પ્રભાવ પડે છે. આ સાથે સૌથી મોટો ફાયદો તો એ છે કે આનાથી કાપતા અટકશે. લાકડા અને છાણાની હોળીના ભાવમાં પણ કંઇ ખાસ ફરક નથી અને પર્યાવરણ માટે પૈસા સામે જોવું મુર્ખામી ભર્યું છે. - અંકિત ધાનાણી,પંચરત્ન એવન્યુ
ઘણાં વર્ષો પછી પહેલીવાર છાણાંની હોળી પ્રગટાવાશે
અમારી સોસાયટીમાં પ્રથમ વખત વૈદિક હોળી થવાની છે. અત્યારે જ્યારે દરેકના બિઝી શિડયુલ છે અને હોળીની વસ્તુઓ ખરીદવોનો કોઇની પાસે સમય નથી ત્યારે આ વૈદિક હોળીની કીટ મેળવી લેવાથી એ કામ પણ સરળ થઇ ગયું ખાસ તો આમાં તમામ નેચરલ વસ્તુઓ હોવાથી કોઇનાથી નુકસાન થવાનું નથી અને લાકડા ન કાપવાથી ઝાડ પણ બચશે. આમ, વૈદિક હોળીથી બમણો ફાયદો સોસાયટીને થવાનો જ છે તેથી દરેક સોસાયટીમાં આ પ્રમાણે હોળી પ્રગટાવી જોઇએ જેનાથી ઘણા વાઇરસ દૂર ભાગશે. - વિજય રાઠોડ,દિવ્ય જીવન સત્સંગ સોસાયટી
આજે મોડર્ન લોકો જૂની પરંપરાઓ વિરુદ્ધ જઇ રહ્યા છે
અમારી સોસાયટીમાં પ્રથમ વખત વૈદિક હોળીનો પ્રયોગ આ વર્ષે થઇ રહ્યો છે. ખરેખર આમાં જે વસ્તુનો ઉપયોગ થાય છે તેનો જ ઉપયોગ ૬૦ વર્ષ પહેલા થતો હતો ત્યારે કોઇ લાકડાનો ઉપયોગ નહતું કરતું, છાણાંની જ હોળી થતી આતો લોકો જેમ જેમ મોડર્ન થતા જાય છે તેમ તેમ જૂની પરંપરાઓ વિરુદ્ધ જઇ રહ્યા છે પરંતુ ફરીથી આનું મહત્વ સમજી આ વર્ષે ઘણી જગ્યાએ વૈદિક રીતો હોળી થશે તે સાંભળીને આનંદ થયો. - રાજેશભાઇ કોલરિયા, સુરમ્ય રેસિડેન્સી
છેલ્લાં ૯ વર્ષથી સોસાયટીમાં છાણાંની હોળી થાય છે
અમારી સોસાયટીમાં છેલ્લાં ૯ વર્ષથી છાણાંની જ હોળી પ્રગટાવવામાં આવે છે. બે વર્ષથી આ વૈદિક રીતે સાત ધાન્ય, નવગ્રહ, કપુર અને ૩૨ ઔષધિઓને મિલાવવાના વિચાર અંગે જાણ્યું ત્યારથી તેનો પ્રયોગ કર્યો અને તેનાથી વાતાવરણ અને સ્વાસ્થ્યમાં એટલો ફરક પડયો કે હવે સોસાયટીના સભ્યો સામેથી જ વૈદિક રીતે હોળી કરવા માટે માંગ કરે છે. આ પ્રમાણેની હોળીનો ઉલ્લેખ ઋષિ પરંપરામાં પણ કરવામાં આવ્યો છે. - ધનંજય જાની,શાંતિનગર સોસાયટી