For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નિયમિત 5kg રનિંગ અને કસરત કરી 113 માંથી 35kg વજન કર્યું

ટ્રાફિક શાખામાં કામ કરતા પ્રવિણભાઇએ બે વર્ષમાં 37 કિલો વજન ઘટાડયું

Updated: Aug 11th, 2022

Article Content ImageArticle Content Imageકોરોનામાં ઑક્સિજન લેવલ 64 થતા 17 દિવસ આઇસીયુમાં રહ્યા હતા ત્યારે ફિટનેસ જાળવી રાખવા માટેનો સંકલ્પ કર્યો હતો

પ્રવીણભાઈ મજેઠીયા જંકફુડ સદંતર બંધ કરીને માત્ર ઘરનું જ ભોજન જમે છે - છેલ્લા 8 મહિનામાં 23 કિલો વજન ઘટાડયું

મીઠાખળીની અમદાવાદ ટ્રાફિક એડમિન ડીસીપી ઓફિસમાં પ્લાનિંગ શાખામાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા અને બોપલમાં રહેતાં 51 વર્ષના પ્રવીણભાઇ મજેઠિયાએ એક વર્ષથી નિયમિત કસરત અને રનિંગ કરીને 37 કિલોગ્રામ વજન ઘટાડીને ફિટનેસ જાળવી છે.  પ્રવિણભાઇએ કહ્યું કે, પોલીસમાં જોબ કરતા હોવાથી પોતાની રૂટિન પ્રક્રિયામાં ઘણો ફેરફાર થઇ જતો હોય છે. જમવાની અનિયમિતતાને લીધે મારું વજન 113 કિ.ગ્રા. થયું હતું. કોરોના થતા મારું ઑક્સિજન લેવલ 64 થયું હતું જેને લીધે 17 દિવસ આઇસીયુમાં રહ્યો હતો ત્યારે શરીરની જાળવણી કરવા માટે હું ગંભીર બન્યો હતો. શરીરનું વજન વધારે હોવાથી ઘણીવાર શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તેને લીધે શરીરની ફિટનેસ જળવાઇ રહે તે માટે સંકલ્પ કર્યો હતો. કોરોનામાંથી બચવું અશક્ય હતું પણ સારવારને લીધે બચી ગયો હતો. શરીરની જાળવણી માટે દરરોજ એક કલાક ચાલવાની શરૂઆત કરી હતી અને ચાર મહિના પછી રનિંગ શરૂ કર્યું હતું. એક કલાકમાં પાંચ કિ.મી. દોડું છું અને બીજી કસરત કરું છું. કોઇ મેડિસિન વિના માત્ર વર્કઆઉટ કરીને 113 કિ.ગ્રામમાંથી 35 કિ.ગ્રા.વજન ઘટાડયું છે. પોલીસમાં જોબ કરવાને લીધે જમવાની અનિયમિતતાને લીધે મારું વજન વધ્યું હતું અને તેને લીધે મને ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની બીમારીમાં સપડાયો હતો પણ નિયમિત કસરતને લીધે હું બધી જ બીમારીઓને હરાવીને ચૂક્યો છું. નિયમિત કસરત કરવી અને સમયસર ભોજન કરવાને લીધે યોગ્ય રીતે શરીરની જાળવણી થઇ શકે છે.

રનિંગ કરવા માટે ટ્રાફિક શાખામાં નોકરી કરવાનું નક્કી કર્યું

હું પહેલા સોલા પોલીસ સ્ટેશનમાં જોબ કરતો હતો પણ હું રનિંગ અને કસરત કરી શકું તે માટે ડીસીપી ભક્તિબહેન ઠાકરને રજૂઆત કરી હતી અને તેને લીધે મીઠાખળી વિસ્તારમાં આવેલી ટ્રાફિક એડમિન ડીસીપી ઓફિસ પ્લાનિંગ શાખામાં જોબ કરવાની મંજૂરી આપી હતી. 32 વર્ષની જોબમાં 25 વર્ષ સુધી ડી.સ્ટાફ તરીકે સેવા આપી હતી. કસરત કરીને શરીરની ફિટનેસ જળવાઇ રહે તે મારો જીવનમંત્ર બન્યો છે. શરીરની જાળવણી રાખવાથી માનસિક રીતે મનોબળ અને આત્મવિશ્વાસમાં પણ ઘણો વધારે થાય છે.

કસરત શરૂ કર્યા દિવસોમાં ઘણી મુશ્કેલીનો સામનો કર્યો

કસરત કરવાની શરૂઆત કર્યા પછી બહારનું જંકફૂડ જમવાનું બંધ કર્યું અને માત્ર ઘરનું જમવાનું નક્કી કર્યું હતું. કસરત કરવા માટે ખાસ શિડયુલ બનાવ્યું અને તેનું ચુસ્તપાલન કર્યું હતું. કસરત કરવાની શરૂઆત કરવાને લીધે શરીરમાં દુઃખાવો થતો હતો પણ હું મક્કમ મને રનિંગ કરતો હતો. એક વર્ષમાં સખત પરિશ્રમથી મારા શરીરનું વજન ઘડાટયું છે જે મારા માટે એક ઉત્સવથી પણ વધારે મહત્વ ધરાવે છે. વ્યકિત પોતાના મનથી જે-તે કાર્યની શરૂઆત કરે તો તેમાં સફળતાને પામી શકે છે તેમ હું માનું છું.

Gujarat