ચંદનગિરિની યાદમાં વાવેલું ચંદનનું વૃક્ષ આજે પણ MG સાયન્સ કેમ્પસમાં તેની હયાતીની સાક્ષી પૂરે છે
2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટને 15 વર્ષ પૂર્ણ
Updated: Jul 26th, 2023
bombશહેરની એમ.જી.સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ચંદનગિરિ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યો હતો : દર વર્ષે કૉલેજમાં તેની યાદમાં મોટિવેશન સેમિનારનું આયોજન કરાય છે
26 જુલાઇ 2008ની સમીસાંજે અમદાવાદના વિવિધ વિસ્તારમાં સમયાંતરે 70 મિનિટ સુધી થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટને લીધે 56 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા અને 200 લોકો ઘાયલ થયા હતા. આ બોમ્બ બ્લાસ્ટમાં એમ.જી.સાયન્સ કૉલેજના જીઓલોજી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા ચંદનગિરિ ગોસ્વામીએ પણ જીવ ગુમાવ્યો હતો. આથી તેની યાદમાં કેમ્પસમાં ચંદનના વૃક્ષનું રોપણ કરાયું હતું જે આજે વટવૃક્ષ બન્યું છે. જીઓલોજી ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર પારસ સોલંકીએ કહ્યું કે, ચંદન સાયન્સનો સ્ટુડન્ટ્સ હોવા છતાં કોમર્સમાં અભ્યાસ કરવો હતો. આ સમયે અમે તેને સમજાવીને સાયન્સમાં જીઓલોજીમાં અભ્યાસ કરવાની પ્રેરણા આપી હતી. ચંદનના પિતા અસારવા સિવિલમાં મેસ ચલાવતા હતા. ચંદનના મૃત્યુથી પરિવાર અને કોલેજમાં ઘણી ખોટ પડી હતી. ચંદનની કાયમી યાદગીરી રહે તે માટે 2010માં ડિપાર્ટમેન્ટની સામે જ 'ચંદન'નું વૃક્ષ ઉછેર કર્યો હતો જે આજે એક વટવૃક્ષ બન્યું છે.
બ્લડ
ડોનેટ કરવા ગયો અને મૃત્યુ થયું
હું અને ચંદનગિરિ અમે કોલેજમાં અમે સાથે અભ્યાસ કરતા હતા. બોમ્બ બ્લાસ્ટ થયા તે દિવસે કૉલેજના કામને લઇને ચંદનગિરિએ મને છેલ્લો ફોન કર્યો હતો. આ સમયે પરિવાર તરફથી મને ફોન આવ્યો હતો અને ચંદન ક્યાં છે તે વિશે પૂછ્યું હતું. બોમ્બ બ્લાસ્ટ થતા ચંદન પોતાના વિસ્તારના મિત્રો સાથે ઇજાગ્રસ્ત દર્દીઓને બ્લડ આપવા માટે ગયો હતો. દર્દીઓની સેવાના સમયે સિવિલના ટ્રોમા સેન્ટરમાં બોમ્બ બ્લાસ્ટમાં ચંદને પોતાનો જીવ ગુમાવ્યો હતો. બે દિવસ સુધી ચંદનનો મૃતદેહ ઓળખી શકાયો ન હતો. - મહર્ષિ વ્યાસ, ચંદનગિરીના મિત્ર