Gandhinagar

7 આયુર્વેદ કોલેજોની માન્યતા રદ, BAMS ની 620 બેઠકો પર ગ્રહણ, NCISMની કાર્યવાહી બાદ આરોગ્ય ક્ષેત્રે મોટો વિસ્ફોટ

By GS Team
19 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં તબીબી શિક્ષણ ક્ષેત્રે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. NCISM દ્વારા તપાસ બાદ જૂનાગઢની નોબલ સહિત 7 ખાનગી આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ કરાઈ છે. નિયમોનું પાલન ન થતાં 2026-27થી BAMS કોર્સમાં નવા પ્રવેશ બંધ થશે. આ નિર્ણયથી 620 બેઠકો ઘટતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ છે. શિક્ષણના નામે ચાલતી દુકાનો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

7 આયુર્વેદ કોલેજોની માન્યતા રદ, BAMS ની 620 બેઠકો પર ગ્રહણ, NCISMની કાર્યવાહી બાદ આરોગ્ય ક્ષેત્રે મોટો વિસ્ફોટ

NCISM Gujarat Ayurvedic Colleges Recognition Cancelled : ગુજરાતમાં તબીબી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ચાલી રહેલી ગંભીર બેદરકારી અને કોભાંડોનો વધુ એક પર્દાફાશ થયો છે. નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે હાથ ધરવામાં આવેલા કડક ચેકિંગ બાદ નિયમોનું પાલન ન કરતી અને પૂરતી સુવિધાઓનો અભાવ ધરાવતી જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત ગુજરાતની 7 ખાનગી આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે.

હવે પછીનાં શૈક્ષણિક વર્ષથી આ સાતેય કોલેજોમાં BAMS (આયુર્વેદાચાર્ય) કોર્સ માટેના નવા એડમિશન સંપૂર્ણ બંધ થઈ જશે
આ નિર્ણયના કારણે હવે પછીના શૈક્ષણિક વર્ષથી આ સાતેય કોલેજોમાં બીએએમએસ (આયુર્વેદાચાર્ય) કોર્સ માટેના નવા એડમિશન સંપૂર્ણપણે બંધ થઈ જશે. એનસીઆઈએસએમ એક્ટ 2020ની કલમ 28 અને 29 હેઠળ લેવાયેલા આ કડક પગલાંને કારણે રાજ્યમાં બીએએમએસની કુલ 620 જેટલી બેઠકો ઘટી જતાં આયુર્વેદમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ અને ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. લાખો રૂપિયાની ફી ઉઘરાવતી આ ખાનગી કોલેજો પાસે પૂરતા કવોલિફાઇડ પ્રોફેસરો, પૂરતી દર્દીઓ ધરાવતી હોસ્પિટલો કે સાધનો પણ નથી! એનસીઆઈએસએમના નિરીક્ષણ દરમિયાન ગંભીર ખામીઓ સામે આવતા આ કાર્યવાહી કરવી પડી છે.

એડમિશન સમયે જ કોલેજો સામે પગલા

દર વર્ષે એડમિશન સમયે જ આવી કોલેજો સામે પગલાં લેવાય છે, જેના કારણે નીટ પાસ કરીને આવતા હોશિયાર વિદ્યાર્થીઓ રઝળી પડે છે. રાજ્યનો આરોગ્ય વિભાગ અને સ્થાનિક યુનિવર્સિટીઓ આ કોલેજોને કઈ રીતે મંજૂરી આપતી હતી? માત્ર કાગળ પર ચાલતી આ કોલેજો સામે અગાઉ પગલાં કેમ ન લેવાયા? આ મુદ્દે વિદ્યાર્થી સંગઠનનો અને વાલીઓનો ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને માંગ કરી છે કે શિક્ષણના નામે દુકાનો ચલાવતા આવા સંચાલકો સામે માત્ર માન્યતા રદ કરવાથી કશું નહીં થાય, તેમના પર કડક ગુનાહિત કાર્યવાહી પણ થવી જોઈએ!

માન્યતા રદ થયેલ ગુજરાતની ૭ આયુર્વેદિક કોલેજોની યાદી

શહેર
કોલેજનું નામ
બેઠક
જૂનાગઢ
નોબલ આયુર્વેદ કોલેજ-રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
100
વડોદરા
સુમનદીપ આયુર્વેદ મેડિકલ કોલેજ-હોસ્પિટલ
100
મહેસાણા
સરદાર આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલ
100
ખેડા
ડાલિયા આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલ
100
લીંબડી
લીંબડી આયુર્વેદિક મેડિકલ કોલેજ
100
ગોધરા
જય જલારામ આયુર્વેદિક કોલેજ
60
અમરેલી
શ્રીધર અતુલકુમાર જાની આયુ.મેડી.કોલેજ
60