મહેસૂલી તલાટી અને તલાટી કમ-મંત્રી કામગીરી અને જવાબદારીઓ અલગ થઈ, લાંબા સમયની માગ પૂર્ણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Talati Job Chart Separation: ગુજરાતના તલાટીઓ માટે એક મોટા અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયની પડતર માંગણીને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે મહેસૂલી તલાટી અને તલાટી કમ-મંત્રીની કામગીરી અને જવાબદારીઓ સત્તાવાર રીતે અલગ કરી દીધી છે.
સરકારે નવો ઠરાવ કર્યો
રાજ્ય સરકારના પંચાયત વિભાગના મંત્રીએ આ બાબતે જાણકારી આપી હતી. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ઠરાવ મુજબ, હવે બંને કેડરના કર્મચારીઓ માટે અલગ-અલગ જોબચાર્ટ નક્કી કરવામાં આવ્યા છે. આ નિર્ણયને પગલે ગુજરાતમાં મહેસૂલી તલાટી અને તલાટી કમ-મંત્રીની ફરજો વચ્ચેની ભેદરેખા હવે સ્પષ્ટ થઈ ગઈ છે. લાંબા સમયથી આ બંને કેડરની કામગીરી અલગ કરવા માટે માંગ કરવામાં આવી રહી હતી, જેને સરકારે આખરે મંજૂરી આપી દીધી છે.
અસમંજસતા અને ઓવરલેપિંગની સમસ્યાઓ નહીં થાય
આ નવા ફેરફારથી સૌથી મોટો ફાયદો વહીવટી કામગીરીમાં થશે. અત્યાર સુધી કામગીરીને લઈને જે અસમંજસતા અને ઓવરલેપિંગની સમસ્યાઓ ઊભી થતી હતી, તેનો હવે સંપૂર્ણપણે અંત આવશે. જવાબદારીઓની આ સ્પષ્ટ વહેંચણીથી ગ્રામ્ય સ્તરે ઉદ્ભવતી વહીવટી ગૂંચવણો દૂર થશે, જેના પરિણામે વહીવટી કામગીરી વધુ ઝડપી અને પારદર્શક બનશે.
મહેસૂલી તલાટીના શિરે કયા કામ?
મહેસૂલી તલાટી હવે મુખ્યત્વે જમીન મહેસૂલ, જમીન રેકર્ડ અને મહેસૂલ કાયદા સંબંધિત કામગીરી સંભાળશે, તે ઉપરાંત જમીનના રેકર્ડ, હદનિશાન, સરકારી જમીન, ગૌચર, ખાણ-ખનિજ અને જમીન દબાણ અંગેની કામગીરીની જવાબદારી સોંપાઈ છે.
તલાટી કમ મંત્રીના શિરે કયા કામ?
જ્યારે તલાટી કમ-મંત્રી પંચાયત અધિનિયમ અને નિયમો હેઠળ ગ્રામ પંચાયતના સચિવ તરીકેની કામગીરી સંભાળશે તે ઉપરાંત સરકારી યોજનાઓના ગ્રામ્ય અમલીકરણ, પંચાયતના વિકાસકાર્યો, જન્મ-મરણ નોંધણી, વિવિધ પ્રમાણપત્રો અને ગ્રામ વિકાસની કામગીરી પણ તલાટી કમ મંત્રી સંભાળશે. ગામતળ, પંચાયત હસ્તકની જમીન, પાણી, સ્વચ્છતા, દીવાબત્તી, પ્રાથમિક શિક્ષણ સહિતની ગ્રામ પંચાયત લક્ષી કામગીરી પણ તેઓ જ જોશે.









