સિંગર સચિન સંઘવી પર લગ્નની લાલચ આપી યૌન શોષણનો આરોપ, જામીન મળતા કહ્યું- તમામ આરોપો પાયાવિહોણા

Sachin Sanghvi: બોલિવૂડ સિંગર અને સંગીતકાર સચિન સંઘવીની, એક 29 વર્ષીય મહિલા સાથે યૌન ઉત્પીડનના આરોપસર ગુરુવારે ધરપકડ કરવામાં આવી છે. સિંગર સચિન સંઘવી 'સ્ત્રી 2' અને 'ભેડિયા'ના હિટ ગીતો માટે જાણીતો છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર સચિને મહિલાને સંગીત આલ્બમમાં તક આપવા અને લગ્ન કરવાના વચનો આપ્યા હતા.
પોલીસે આપેલી જાણકારી અનુસાર મહિલા ફેબ્રુઆરી 2024માં ઇન્સ્ટાગ્રામ દ્વારા સિંગરના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરુ થઈ અને કામ આપવાની લાલચ આપીને સચિને મહિલાને સ્ટુડિયો બોલાવી લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને કથિત રીતે સતત યૌન ઉત્પીડન કર્યું. ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ખાતરી આપી છે કે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ અને પૂછપરછ ચાલુ છે અને કડક કાર્યવાહી કરાશે. આ મામલો સચિનની પ્રોફેશનલ કારકિર્દી માટે મોટો સંકટ બન્યો છે.
મહિલાને કામ આપવાની લાલચ આપી યૌન ઉત્પીડન કર્યું
પોલીસના જણાવ્યા અનુસાર, સંઘવીએ મહિલાને સંગીત આલ્બમમાં તક આપવાનું વચન આપીને ફોન નંબરોની આપ-લે કરી હતી. ત્યારબાદ, તેમણે મહિલાને પોતાના સ્ટુડિયો બોલાવીને કથિત રીતે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને ઘણી વખત યૌન ઉત્પીડન કર્યું. મહિલાએ પોલીસને જણાવ્યું કે આ વ્યવહાર સતત અને જાણી જોઈને કરવામાં આવ્યો હતો. મહિલાની ફરિયાદ બાદ સિંગરની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: જાણીતા એડ ગુરુ પીયૂષ પાંડેનું નિધન, 'અબ કી બાર મોદી સરકાર'નું સૂત્ર એમણે જ આપ્યું હતું
સચિન સંઘવી કેસની તપાસ ચાલુ
આ કેસમાં તપાસ અધિકારીએ કહ્યું કે ફરિયાદકર્તા દ્વારા આપવામાં આવેલી ફરિયાદની તપાસ કરવામાં આવી રહી છે અને ધરપકડ કરાયેલા સચિનની પૂછપરછ કરીવામાં આવી. કેસની ગંભીરતાને જોતાં, પોલીસે કહ્યું કે કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
સચિન સંઘવીના વકીલ આદિત્ય મિત્થેએ નિવેદન આપ્યું છે કે, 'એફઆઈઆરમાં લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા અને નિરાધાર છે. મારા અસીલની ધરપકડ ગેરકાયદેસર હતી, તેથી તેમને તરત જ જામીન મળી ગયા. અમે આ ખોટા આરોપોનો મજબૂતીથી બચાવ કરીશું.'
સંગીત અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સચિન સંઘવીના યોગદાનની ચર્ચા રહી છે, પરંતુ હવે આ મામલો તેમની પ્રોફેશનલ કારકિર્દી માટે પણ ગંભીર સંકટ બની ગયો છે. મહિલાએ પોતાની ફરિયાદમાં એવું પણ કહ્યું છે કે તેણે આ આરોપો છતાં હિંમતપૂર્વક પોલીસ સુધી ફરિયાદ પહોંચાડી, જેથી ન્યાય સુનિશ્ચિત કરી શકાય.

