મેજર મોહિત શર્મા પર આધારિત નથી ફિલ્મ, રણવીર સિંહની 'ધુરંધર'ને લઈને ડાયરેક્ટરની સ્પષ્ટતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Aditya Dhar confirms Dhurandhar is not based on life of Major Mohit Sharma: રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'ધુરંધર'નું હાઈ-ઓક્ટેશન એક્શન ટ્રેલર ગત અઠવાડિયે જ રિલીઝ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદથી અટકળો ચાલી રહી છે કે, આ ફિલ્મની સ્ટોરી કયા આર્મી જવાન પર આધારિત છે. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે, આ ફિલ્મની સ્ટોરી મેજર મોહિત શર્માના જીવન પર આધારિત છે. હવે ફિલ્મ ડાયરેક્ટર આદિત્ય ધરે આ અફવાઓ પર મૌન તોડ્યું છે.
ડાયરેક્ટરની સ્પષ્ટતા
આદિત્ય ધરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી છે કે આ ફિલ્મ તેમના જીવન પર આધારિત છે કે નહીં. તેણે તમામ અફવાઓ પર વિરામ લગાવતા એક ટ્વીટના રિપ્લાયમાં કહ્યું કે, 'સર, અમારી ફિલ્મ 'ધુરંધર' બહાદુર મેજર મોહિત શર્મા AC(P) SMના જીવન પર આધારિત નથી. આ એક સત્તાવાર સ્પષ્ટતા છે. જો અમે ભવિષ્યમાં તેમના પર બાયોપિક બનાવીશું, તો તે તેમના પરિવારની સંપૂર્ણ સંમતિ અને સલાહની સાથે તેમના બલિદાન અને વારસાના પૂરા સન્માન સાથે બનાવીશું.'

આદિત્યએ આ જવાબ એ ટ્વીટના રિપ્લાયમાં આપ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, અફવાઓને જોઈને પરિવાર સત્ય જાણવાની રાહ જોઈ રહ્યો છે. આ ચર્ચાએ પરિવારને પરેશાનીમાં મૂકી દીધો છે, કારણ કે ફિલ્મ બનાવતા પહેલા તેમની સાથે કોઈ વાતચીત કરવામાં નહોતી આવી અને તેમની પરવાનગી પણ નહોતી લેવામાં આવી. જોકે, હવે આદિત્યની સ્પષ્ટતાથી મેજરના પરિવારને રાહત મળી છે.
કોણ હતા મેજર મોહિત શર્મા?
મેજર મોહિત શર્મા શહીદ થયા હતા અને તેમને 2009માં મરણોત્તર અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. લેફ્ટનન્ટ કમાન્ડર બિજય નાયરની યુટ્યુબ ચેનલ પર પ્રકાશિત થયેલા એક અગાઉના ઈન્ટરવ્યુમાં મધુર શર્માએ પોતાના ભાઈના અંડરકવર મિશન વિશે જણાવ્યું હતું.
આ એ જ મેજર છે જેમણે 2000ના શરૂઆતના વર્ષોમાં ઈફ્તિખાર ભટ્ટના નામથી હિઝબુલ મુજાહિદ્દીનમાં ઘૂસણખોરી કરી હતી. તેમણે એક મહત્વપૂર્ણ ઓપરેશનના દિવસની સ્ટોરી યાદ કરતા કહ્યું હતું કે, 'મેં આતંકવાદીઓનો વિશ્વાસ જીત્યો અને તેમને પોઈન્ટ બ્લેકથી ગોળી મારી દીધી હતી.'
જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ
ફિલ્મની વાત કરીએ તો ધુરંધર 5 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં સંજય દત્ત, અક્ષય ખન્ના, આર. માધવન, અર્જુન રામપાલની સાથે સારા અર્જુન અને રાકેશ બેદી પણ નજર આવશે.








