| (IMAGE - IANS) |
Mouni Roy Separation: અભિનેત્રી મૌની રોય સાથેના છૂટાછેડાની ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે તેના પતિ અને બિઝનેસમેન સૂરજ નામ્બિયારે એક કડક નિવેદન જાહેર કર્યું છે. સૂરજે તેમના અંગત જીવનને લઈને મીડિયામાં આવી રહેલા અહેવાલોને સંપૂર્ણપણે પાયાવિહોણા અને દુષિત ગણાવીને ફગાવી દીધા છે. એક વિગતવાર નોટ શેર કરીને સૂરજે ભરણપોષણ, વિવાદ કે કોઈ ત્રીજી વ્યક્તિની સંડોવણીના તમામ સમાચારોનો ઇનકાર કર્યો છે. આ સાથે જ તેણે મીડિયા અને લોકોને તેમની પ્રાઇવસીનું સન્માન કરવા અને આ વિવાદમાં તેમના નિર્દોષ મિત્રોને ન ખેંચવા વિનંતી કરી છે.
અમારી વચ્ચે ભરણપોષણનો કોઈ વિવાદ નથી: સૂરજ
અફવાઓ પર સીધો પ્રહાર કરતા સૂરજે લખ્યું, 'અમારા અલગ થવા અંગેના તાજેતરના અહેવાલો અત્યંત ખરાબ અને દૂષિત માનસિકતાથી વહેતા કરવામાં આવ્યા છે. હું આ બાબતે એક જ વારમાં બધું સ્પષ્ટ કરી દેવા માંગું છું. અમારી વચ્ચે કોઈ ભરણપોષણનો વિવાદ નથી, કોઈ ઝઘડો નથી કે કોઈ ત્રીજી વ્યક્તિ સામેલ નથી. મૌની અને મેં પરસ્પર સન્માન અને એકબીજાની ભલાઈનો સંપૂર્ણ વિચાર કરીને જ અલગ થવાનો નિર્ણય લીધો છે. આ જ સત્ય છે. આ સિવાય જે કંઈ પણ બતાવવામાં આવી રહ્યું છે તે માત્ર મનઘડત વાર્તાઓ છે.'
નિર્દોષ મિત્રોને આમાં ન ખેંચો: સૂરજ
આ વિવાદમાં અન્ય લોકોના નામ ઘસડવામાં આવતા સૂરજે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેણે કહ્યું, 'હું આ વાત બહુ સ્પષ્ટ રીતે કહેવા માંગું છું કે અમારા બંને વિશે અથવા કોઈ ત્રીજી વ્યક્તિ વિશે જે દાવા કરવામાં આવી રહ્યા છે તેમાં કોઈ સત્ય નથી. આ બાબતમાં અન્ય લોકોને વચ્ચે લાવવા તે બિલકુલ યોગ્ય નથી, ખાસ કરીને એવા નિર્દોષ મિત્રોને જેમને આની સાથે કોઈ લેવાદેવા જ નથી. મૌની અને મેં આ મુશ્કેલ સમયમાં હંમેશા ગરિમા જાળવી રાખી છે અને અમે આશા રાખીએ છીએ કે મીડિયા રિપોર્ટિંગમાં પણ અમારા માટે એ જ ગરિમા જાળવવામાં આવે.'
તેણે મીડિયા હાઉસિસ સામે પણ રોષ ઠાલવતા કહ્યું કે, કેટલાક લોકોએ કોઈ પણ પ્રકારની ચકાસણી કર્યા વિના પાયાવિહોણી વાતો છાપી દીધી છે જે ખૂબ જ અન્યાયી છે. ખોટી માહિતી સામે મૌન રહેવું યોગ્ય ન હોવાથી તે આ બાબતે ખુલીને સામે આવ્યો છે.
મૌની અને સૂરજે સોશિયલ મીડિયા પર કરી હતી જાહેરાત
આ પૂર્વે 14 મેના રોજ, અભિનેત્રી મૌની રોયે સૂરજ નામ્બિયારથી અલગ થવાના સમાચાર સોશિયલ મીડિયા પર સત્તાવાર રીતે શેર કર્યા હતા. એક સંયુક્ત નિવેદન જાહેર કરીને મૌનીએ તેમના અંગત જીવન પર થઈ રહેલા બિનજરૂરી આક્રમણ અંગે નિરાશા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: શક્તિ શાલિનીની રીલિઝ ડેટ એકાદ મહિનો પાછી ઠેલાશે
ગોવામાં થયા હતા ધામધૂમથી લગ્ન
મૌની રોય અને બેંગલુરુના બિઝનેસમેન તેમજ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર સૂરજ નામ્બિયારના લગ્ન 27 જાન્યુઆરી, 2022ના રોજ ગોવામાં ખૂબ જ ધામધૂમથી થયા હતા. આ લગ્ન મલયાલી અને બંગાળી એમ બંને પરંપરાગત રીતિ-રિવાજોથી યોજાયા હતા. લગ્ન પહેલા સૂરજ દુબઈમાં રહેતો હતો. લગ્ન બાદ આ કપલ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની રજાઓ અને ડિનર ડેટ્સની સુંદર તસવીરો શેર કરતું રહેતું હતું.
મૌની રોયની વાત કરીએ તો, તેણે 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી', 'દેવો કે દેવ... મહાદેવ' અને 'નાગિન' જેવી સુપરહિટ ટીવી સિરિયલોથી દેશભરમાં મોટી ઓળખ મેળવી છે. આ ઉપરાંત તે 'બ્રહ્માસ્ત્ર', 'ગોલ્ડ' અને 'મેડ ઇન ચાઇના' જેવી ફિલ્મોમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂકી છે.


