દોસ્તાના ટૂમાં કાર્તિકના સ્થાને અક્ષય કુમાર ગોઠવાશે
Updated: Jun 21st, 2022
- કાર્તિકે અક્ષય પાસેથી ભૂલભૂલૈયા ટૂ આંચકી હતી
- કાર્તિક આર્યનને પડતો મુકાવા પાછળ અક્ષય કુમારનો દોરીસંચાર હોવાની પણ ચર્ચા ચાલી
મુંબઇ : કરણ જોહરની અભેરાઈ પર મુકી દેવાયેલી દોસ્તાના ટૂ ફિલ્મનું કામ ફરી શરુ થઈ રહ્યાના અણસાર છે. હીરો તરીકે અગાઉ પડતા મુકાયેલા કાર્તિક આર્યનને સ્થાને હવે અક્ષય કુમાર ગોઠવાઈ રહ્યાનું ચર્ચાય છે.
વાસ્તવમાં અગાઉ દોસ્તાના ટૂનું થોડુંક શૂટિંગ થયા બાદ કાર્તિક આર્યનને પડતો મુકવામાં આવ્યો ત્યારે તેની પાછળ અક્ષય કુમારનો દોરીસંચાર જ જવાબદાર હોવાનું એક કારણ પણ ચર્ચાયું હતું. કાર્તિક આર્યને મૂળ અક્ષય કુમારની ફિલ્મ ભૂલભૂલૈયાની સિક્વલમાં અક્ષયનો રોલ છિનવ્યો હતો. તેના કારણે નારાજ અક્ષયે દોસ્તાના ટૂ માંથી કાર્તિકનું પતું કપાવ્યાની ચર્ચા હતી. આ ફેરફારને લીધે કરણ જોહરની ધર્મા પ્રોડક્શનને ૨૦ કરોડનું નુકસાન થયું હતું.
હવે અક્ષય કુમાર આ ફિલ્મમાં એન્ટર થાય તો કાર્તિક અને અક્ષય કુમાર વચ્ચેની આ કાપાકાપીની વાતમાં દમ હોવાનું પુરવાર થશે. કાર્તિક સાથે શૂટ થયેલા ફિલ્મના સીન્સ નકામા થઈ જશે. વધુમાં અક્ષય ને ધ્યાનમાં રાખીને સ્ક્રિપ્ટમાં પણ ઘણા બધા ફેરફારો કરવામાં આવશે. આ ફિલ્મમાં અક્ષય અને જાહ્નવીની જોડીને કેવી રીતે રજૂ કરવામાં આવશે તે અંગે પણ અટકળો છે.