જહાંગીર નામનો વિવાદ : કરિનાએ કહ્યું, 'હું નકારાત્મકતા અંગે વિચારતી નથી'
Updated: Aug 15th, 2021
- કોરોના કાળમાં હું ખુશી અને પોઝિટિવિટી વહેંચવા ઇચ્છું છું
મુંબઈ : કરિના કપૂરના પુત્ર તૈમૂર બાદ જહાંગીરના નામ અંગે પણ સોશિયલ મીડિયા પર ટ્રોલર્સે કરિના અને સૈફ અલી ખાનને ઘણા ટ્રોલ કર્યા, પણ બેમાંથી એકેય અત્યાર સુધી કશો જવાબ સુધ્ધાં નહોતો આપ્યો, પણ આજે હવે કરિનાએ વળતો જવાબ આપ્યો છે.
કરિનાએ પોતાના પુસ્તક 'પ્રેગન્સી બાઈબલ'માં બીજા દિકરાના નામની જાહેરાત કરી છે. નામ અંગે વધવા વિવાદને પગલે કરિનાએ પહેલીવાર રિએક્શન આપ્યું છે. કરિના તેના દિકરાને જેહ કરીને બોલાવે છે.
એક મુલાકાતમાં કરિનાએ જણાવ્યું હતું કે 'હવે શું થાય, મારે મેડિટેશન શરૂ કરવું પડશે. એક સિક્કાની બે બાજુ હોય છે, એક બાજુ હકારાત્મક તો બીજી બાજુ નકારાત્મકતા. મારે આ બધું એવી રીતે જોવું છે કે કાશ, આવું ન થયું હોત. કારણકે આપણે બે નિર્દોષ બાળકો અંગે વાત કરીએ છીએ. જોકે અમારે ખુશી અને પોઝિટિવ રહેવાનું છે.'
'તમને ખબર છે હું ઘણી પોઝિટિવ વ્યક્તિ છું. હું ખુશમાં રહેતી હોઉં છું,' એમ જણાવી કરિના કહે છે, 'મારે કોવિદકાળમાં ખુશીઓ અને પોઝિટિવિટી વહેંચવી છે. હું ટ્રોલ અથવા કોઈ પ્રકારની નકારાત્મકતા અંગે વિચારવા માગતી નથી.'
સોશિયલ મીડિયાના યુઝર્સને જ્યારે ખબર પડી કે સૈફ કરિનાએ દિકરાનું નામ જહાંગીર રાખ્યું છે ત્યારે તેમણે તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. એક યુઝર્સે તો એમ પૂછ્યું હતું કે કરિના-સૈફ મુઘલ શાસકોની ટીમ બનાવવા માગે છે. પહેલાં તૈમુર, હવે જહાંગીર તો ત્રીજો ઔરંગઝેબ?
જો કે બીજી તરફ, સ્વરા ભાસ્કર અને સબા અલી ખાને કરિનાને સમર્થન આપતાં જણાવ્યું હતું કે એક દંપતિ પોતાના સંતાનનું નામ રાખે, ત્યારે તમારે મફતમાં ઓપિનિયન આપવાનું બંધ કરવું જોઈએ.