પાકિસ્તાની અભિનેત્રી સાથે કામ કરવું દિલજીતને ભારે પડશે! 'બોર્ડર-2' ફિલ્મમાંથી કાઢી મૂકવા માંગ
Sardar Ji 3 Controversy: એક્ટર અને સિંગર દિલજીત દોસાંઝે હાલમાં વિવાદોનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિવાદનું કારણ છે તેની અપકમિંગ ફિલ્મ સરદાર જી 3 અને તેમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિરની કાસ્ટિંગ. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર સામે આવ્યુ હતું, જેમાં હાનિયાની પણ ઝલક દેખાડવામાં આવી છે. ત્યારબાદથી જ દિલજીત લોકોના નિશાન પર આવી ગયો છે. હવે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ સની દેઓલની અપકમિંગ ફિલ્મ બોર્ડર 2માંથી દિલજીતને કાઢી મૂકવાની માંગ કરી છે.
'બોર્ડર 2' માં દિલજીતની કાસ્ટિંગ ખૂબ જ દુઃખદ
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ હાનિયા સાથે કામ કરવા બદલ લોકો દિલજીતથી નાખુશ છે. FWICE એ T-Seriesના માલિક ભૂષણ કુમાર, જેપી ફિલ્મ્સના પ્રોડ્યુસર જેપી દત્તા, નિધિ ધત્તા અને 'બોર્ડર 2' ના ડિરેક્ટર અનુરાગ સિંહને પત્ર લખ્યો છે. FWICE એ કહ્યું કે 'બોર્ડર 2' માં દિલજીતને કાસ્ટ કરવો ખૂબ જ દુઃખદ બાબત છે.
શું દિલજીતને 'બોર્ડર 2' ફિલ્મમાંથી હાથ ધોવા પડશે?
FWICE એ કહ્યું કે, 'બોર્ડર 2 જેવી ફિલ્મ ભારતીય સૈનિકો માટે સન્માન છે, જેમણે પોતાના જીવનું બલિદાન આપ્યું છે. આવી ફિલ્મમાં દિલજીત દોસાંઝને કાસ્ટ કરવો એ ડિસ્ટર્બિંગ છે. આવું કરવાથી માત્ર ફિલ્મના આત્માને જ નહીં, પણ તમામ ભારતીયોને એક એવો સંદેશ પણ મળે છે જે નિરાશાજનક છે.' હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું દિલજીતને 'બોર્ડર 2' ફિલ્મમાંથી હાથ ધોવા પડશે? આ ફિલ્મમાં સની દેઓલ અને વરુણ ધવન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ફિલ્મ 2026માં પ્રજાસત્તાક દિવસના અવસરે રિલીઝ થશે.
FWICEએ આ પહેલા ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો
FWICEએ આ પહેલા ગૃહ મંત્રાલયને પત્ર લખીને દિલજીત દોસાંઝ, મનમોર્ડ સિંધુ, ગુનબીર સિંહ સિંધુ અને 'સરદાર જી 3' ના ડિરેક્ટર અમર હુંડલ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. આ સાથે જ એ પણ અપીલ કરવામાં આવી હતી કે આ તમામના પાસપોર્ટ રદ કરી દેવા જોઈએ. આ સાથે જ તેમને ભારતીય નાગરિક તરીકે મળતા તમામ વિશેષાધિકારોથી વંચિત રાખવામાં આવે. 'સરદાર જી 3' 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.