સાઈ પલ્લવીની સાન ઠેકાણેઃ હવેથી બોલતાં પહેલાં બે વાર વિચારીશ
Updated: Jun 20th, 2022
- કાશ્મીરી પંડિતોના સંહાર વિશે ટિપ્પણીથી વિવાદ થયો હતો
- તમામ ધાર્મિક હિંસા એકસમાન હોય તેવું કહેવાનો હેતુ હતો પણ હવેથી ગેરસમજ ના થાય તે માટે બોલવાામાં ધ્યાન રાખીશ
મુંબઈ: સાઉથની હિરોઈન સાઈ પલ્લવીના કાશ્મીરી પંડિતોના સંહાર વિશેના નિવેદનનો ભારે વિરોધ થયો હતો. તેની સામે પોલીસ મથકે અરજીઓ પણ થઈ હતી. આ બધા વિવાદના કારણે સાઈ પલ્લવીની સાન હવે ઠેકાણે આવી છે. તેણે જાહેર કર્યું છે કે હવેથી પોતે બોલતાં પહેલાં બે વાર વિચારશે.
ે સાઈએ પોતાની એક ફિલ્મના પ્રમોશન માટે ઈન્ટરવ્યૂ આપ્યો હતો. તેેમાં કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ વિશે પ્રત્યાઘાત આપતાં તેણે કહ્યું હતું કે તેમાં કાશ્મીરી પંડિતોનો જે રીતે નરસંહાર દેખાડાયો છે તેમાં અને હાલમાં ગોવંશની તસ્કરી કરતા લોકોના મોબ લિંચિંગની ઘટનાઓ એકસમાન છે. બંનેમાં ધર્મના કારણે હિંસા થઈ છે.
આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. સંખ્યાબંધ કાશ્મીરી પંડિતોએ સાઈની ટિપ્પણી વિશે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેને અમારા પર શું વીતી છે તેની કોઈ જાણ જ નથી. કેટલાય લોકોએ સાઈની કોઈ પૂર્વમાહિતી વિના બોલવા તથા પંડિતોના નરસંહાર જેવી મહાભયાનક ઘટનાને આ રીતે ઓછી ગંભીર આંકવાના પ્રયાસોની ટીકા કરી હતી. કેટલાંક સ્થળે તો સાઈ સામે પોલીસ કાર્યવાહી માટે અરજી પણ અપાઈ હતી. બજરંગ દળના હૈદરાબાદ એકમે સ્થાનિક પોલીસ મથકે તેની સામે અરજી આપી હતી અને તે સમગ્ર દેશની માફી માગે તેવી માગણી કરી હતી.
આ બધા વિવાદોને પગલે સાઈએ છેવટે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો હતો. તેમાં તેણે જણાવ્યું હતું કે પોતે ધર્મના નામે થતી તમામ હિંસા એક જ પ્રકારની ગણાય એવું કહેવા માગતી હતી. પરંતુ, હવેથી પોતે કશું પણ બોલતાં પહેલાં બે વાર વિચારશે કારણ કે પોતાનાં નિવેદનથી બહુ ગેરસમજ ફેલાઈ શકે છે.