'સરકાર કો બોલો ભાઈ, ઉન્હોંને હમસે કહા સો કિયા..', હવે ફોન પર નહીં સંભળાય અમિતાભ બચ્ચનનો અવાજ
Amitabh Bachchan: દેશમાં વધતા સાયબર ક્રાઇમને રોકવા અને તેની પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે સરકારે એક ખાસ અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાન હેઠળ, જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈને ફોન કરતો હોય, ત્યારે તેને કોલર ટ્યૂન તરીકે અમિતાભ બચ્ચનનો આવાજ સંભળાતો હતો. જેમાં બિગ બી સાયબર ક્રાઈમ વિશે માહિતી આપતા હતા પણ હવે આ કોલર ટ્યૂન હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે ઘણા લોકો આ કોલર ટ્યૂનથી ત્રસ્ત થઇ ગયા હતા.
આ પણ વાંચો : Ex બોયફ્રેન્ડ અર્જુન કપૂરને બર્થ-ડે વિશ કર્યા બાદ મલાઈકા અરોડાની ક્રિપ્ટિક પોસ્ટ વાઇરલ
કોલર ટ્યૂનની વધતી ફરિયાદો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારે આ કોલર ટ્યૂન હટાવવાનો નિર્ણય લીધો છે, કારણ કે અભિયાન હવે પૂર્ણ થઈ ચૂક્યું છે. પહેલાં જ્યારે ફોન કરવામાં આવતો, ત્યારે અમિતાભ બચ્ચનની અવાજવાળી કોલર ટ્યૂન 40 સેકન્ડ સુધી ચાલતી હતી, જેના પછી કોલ કનેક્ટ થતો હતો. આ દરમિયાન, ઘણા લોકોએ ફરિયાદ કરી હતી કે ઈમર્જન્સીના સમયે આ કોલર ટ્યૂન તેમના માટે ત્રાસદાયક રહેતી, કારણ કે સામેવાળી વ્યક્તિ સાથે તરત વાત થઈ શકતી ન હતી.
યુઝર્સે કર્યું ટ્રોલિંગ
હાલમાં, અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા હતા, જ્યારે એક યુઝરે તેમને કોલર ટ્યૂન માટે આલોચના કરી હતી. તેની પર બિગ બીએ જવાબ આપ્યો અને લખ્યું, “જી હાં હુજૂર, મૈં ભી એક પ્રશંસક હૂં?” ત્યાર બાદ એક અન્ય યુઝરે લખ્યું, “તો ફોન પર બોલવાનું બંધ કરો ભાઈ.” અમિતાભે તેના જવાબમાં લખ્યું, “ "સરકાર કો બોલો ભાઈ, ઉન્હોંને હમસે કહા સો કિયા...”
કોરોના દરમિયાન પણ આપ્યો હતો આવાજ
આ પહેલીવાર નથી જ્યારે અમિતાભ બચ્ચને પોતાના આવાજને જાહેરમાં ઉપયોગ માટે આપ્યો હોય. આ પહેલાં, તેમણે કોરોના વાઇરસથી બચવા માટે પણ એક કોલર ટ્યૂન બનાવી હતી, જેમાં તેઓ કોરોનાથી બચવાના ઉપાયો જણાવતા હતા. નોંધનીય છે કે, હવે સરકારના નિર્ણય બાદ અમિતાભ બચ્ચનની અવાજવાળી કોલર ટ્યૂન હટાવવામાં આવશે અને લોકોને રાહત મળશે.