અક્ષય કુમારની માતા અરૂણા ભાટિયાનું 77 વરસની વયે નિધન
Updated: Sep 9th, 2021
- પુત્ર અક્ષયના જન્મદિવસના એક દિવસ પહેલા જ તેમણે અંતિમ શ્વાસ લીધા
મુંબઇ : અક્ષય કુમારની માતા અરૂણા ભાટિયાનું બુધવારે ૭૭ વરસની વયે નિધન થયું હતું. મુંબઇની હીરાનંદાની હોસ્પિટલમાં તેઓ છ દિવસ સુધી આઇસીયુમાં સારવાર લઇ રહ્યા હતા. અક્ષયને માતાની તબિયતની જાણ થતાં જ બ્રીટેનથી શૂટિંગ પડતુ ંમુકીને મુંબઇ દોડી આવ્યો હતો. અક્ષયે માતાના અંતિમ સંસ્કાર મુંબઇના પાર્લાના શ્મશાનમાં કર્યા હતા. અક્ષય કુમારનો જન્મદિવસ ૯ સપ્ટેમ્બરના છે જ્યારે માતાએ પુત્રના જન્મદિવસના આગલા દિવસે જ અંતિમ શ્વાસ લીધા હતા.
અક્ષયે પોતાની માતાના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. તેણે પોસ્ટ કર્યું હતુ ંકે, મારી માતા મારી કરોડરજ્જુ સમાન હતી. આજે હું બહુ જ દુઃખ અનુભવી રહ્યો છું. મારી માતા અરૂણા ભાટિયા આજે સવારે શાંતિથી આ દુનિયા છોડીને બીજી દુનિયામાં જતી રહી છે. તે મારા પિતા સાથે ફરી મળી ગઇ છે. હું તમારા લોકોની પ્રાર્થનાઓનું સમ્માન કરું છું. ઓમ શાંતિ.
અક્ષય કુમારને માતાના નિધન પર તેના પ્રશંસકો અને બોલીવૂડ સેલિબ્રિટીઓએ પોસ્ટ કરીને શ્રદ્ધાજલિ આપી છે. જેમાં અજય દેવગણ, ડાયરેકટર મધુર ભંડારકર, નિમ્રત કૌર તેમજ અન્યોએ સોશિયલ મીડિયા પર દિલાસો આપ્યો હતો. તેમજ તેના ખાસ મિત્રો સાજિદ ખાન, ધર્મેન્દ્ર, રિતેસ દેશમુખ, ચંકી પાંડે , રમેશ તોરાની,ડાયરેકટર અબ્બાસ મસ્તાન,રોહિત શેટ્ટી, ભૂષણ કુમાર તેમજ અન્યો સ્મશાનમાં પણ તેની પડખે હતા.