‘મહાભારત’માં કર્ણની ભૂમિકા ભજવનારા પંકજ ધીરનું 68 વર્ષની વયે નિધન, ઘણાં સમયથી કેન્સરની સારવાર હેઠળ હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pankahj Deheer Died: બી. આર. ચોપડાની વિખ્યાત ટીવી સીરિયલ મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનારા દિગ્ગજ અભિનેતા પંકજ ધીરનું 68 વર્ષની વયે નિધન થયું છે. તેમના નજીકના મિત્ર અમિત બહલે પણ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. વર્ષ 1998માં દૂરદર્શન પર પ્રસારિત મહાભારત સીરિયલ પછી તેઓ સમગ્ર દેશમાં લોકપ્રિય થયા હતા.
કેન્સરમાંથી સાજા થયા બાદ ફરી...
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પંકજ ધીર ઘણાં સમયથી કેન્સરની સારવાર હેઠળ હતા. જો કે, એકવાર તો તેમણે કેન્સરની માત આપી હતી, પરંતુ બાદમાં તેઓ ફરી એકવાર કેન્સરનો ભોગ બન્યા હતા. છેલ્લા દિવસોમાં તેમની હાલત ખૂબ જ નાજુક હતી. આ રોગને કારણે તેમણે એક મોટી સર્જરી પણ કરાવવી પડી હતી. સોશિયલ મીડિયામાં પંકજ ધીરના મૃત્યુના સમાચાર જોઈને અનેક લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. આ સિવાય સેલિબ્રિટી પણ અશ્રુભીની આંખો સાથે પંકજને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

CINTAA (Cine & TV Artistes Association) એ પણ પંકજ ધીરના નિધન મુદ્દે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે, પંકજ ધીરનું અવસાન 15 ઓક્ટોબરે થયું હતું. તેમના અંતિમ સંસ્કાર 15 ઓક્ટોબરની સાંજે 4:30 વાગ્યે મુંબઈના વિલે પાર્લે સ્મશાન ગૃહમાં થશે. પંકજ ધીર CINTAA ના પૂર્વ જનરલ સેક્રેટરી તરીકે પણ ફરજ નિભાવી ચૂક્યા છે.
'મહાભારત'થી મળી ફેમ
પંકજ ધીરે ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું. જો કે, તેમને 1988માં રિલીઝ થયેલી બી. આર. ચોપરાની મહાભારત સીરિયલથી પ્રખ્યાતિ મળી હતી. આ શોમાં તેમણે કર્ણનું પાત્ર ભજવ્યું હતું. તેમના કામના આજે પણ વખાણ કરવામાં આવે છે. નોંધનીય છે કે, તેમણે ટીવી શો સિવાય અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તે અનેક માઇથોલોજિકલ શોનો હિસ્સો રહ્યા હતા, જેમાં ચંદ્રકાંતા, ધ ગ્રેટ મરાઠા જેવા શૉ પણ સામેલ છે. આ સિવાય તેમણે હિન્દી ફિલ્મ સોલ્જર, બાદશાહ અને સડકમાં પણ શાનદાર કામ કર્યું હતું.

આ પણ વાંચોઃ આર્યન ખાનની બેડ્સ ઓફ બોલિવૂડ જોયા પછી અક્ષય કુમારની સિનેમાના ન્યૂકમર્સને ખાસ સલાહ
પંકજ ધીરનું અંગત જીવન
પંકજ ધીરના અંગત જીવનની વાત કરીએ તો, તેમના પરિવારમાં પત્ની અનિતા ધીર અને પુત્ર નિકિતન ધીર છે. ફેન્સ નિકિતનને ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસમાં થંગાબલીની ભૂમિકાથી જાણે છે. પિતાની જેમ નિકિતન પણ માઇથોલોજિકલ શોમાં જોવા મળે છે. તેણે શ્રીમદ રામાયણમાં રાવણનું પાત્ર ભજવ્યું હતું.









