આધ્યાત્મિક જીવન .
Updated: Apr 24th, 2024
શ્રી અરવિન્દ (પોંડિચેરી) કહે છે, 'માણસ જેવો આધ્યાત્મિક જીવનના માર્ગ પર પ્રવેશે છે કે તરત જ જૂની પૂર્વનિર્મિત નિયતિની શક્તિની પીછેહઠ શરૂ થઇ જાય છે. પછી ઇશ્વરકૃપાના બળે તેને ઉર્ધ્વ દિવ્ય શક્તિની મદદ મળે છે. જે સાધકને પ્રકૃતિની વર્તમાન શકયતાઓથી ઉપર ઉઠાવે છે અને સાધકનું ભાવિ સુરક્ષિત કરે છે.'આ વિધાન મુજબ, માનવી અધ્યાત્મના માર્ગ પર ડગ માંડવાનું શરૂ કરે કે તરત ઇશ્વરકૃપાની વર્ષા તેના પર થવા માંડે છે. જે તેનાં પૂર્વનાં કર્મોને બાળીને ભસ્મ કરી નાંખે છે અને તેના હાલના જીવન પર તેની કોઇ છાયા રહેતી નથી. આ છે અધ્યાત્મ જીવનની ઉપલબ્ધિ પણ આ જીવન જીવવા માટે માણસે ઘણી ભૌતિક વસ્તુઓને બાજુએ હડસેલવી પડે છે તો જ તે અધ્યાત્મપથનો મુસાફિર થઇ શકે. શ્રી અરવિન્દના એક અન્ય વિદ્યાન પ્રમાણે 'એક વખત માનવી અધ્યાત્મિકતા સ્વીકારવાનું કબૂલ કરે તો બધું એ બદલાય, પરંતુ માનવીની મનોમય, પ્રાણમય અને અન્નલય પ્રકૃતિ, ઉચ્ચતર નિયમ સામે બળવો કરે તો બધું ઊધું થઇ જાય.'
તાત્પર્ય એ કે માનવસ્વભાવ એવો છે કે એને અપૂર્ણતાઓ અને શિથિલતાઓ પસંદ છે અને એમાં રાચવાનું ગમે છે. એટલે મોટાભાગના માનવો માટે અધ્યાત્મિક જીવન જીવવું દુષ્કર છે. કો'ક વિરલા જ એવું જીવન જીવી જાણે છે અસ્તુ !
- તુષાર દેસાઇ