હે માનવ ! તું સાચો 'મનુષ્ય' થા मनुः भव
Updated: Mar 28th, 2024
- ઈશ્વરે બુદ્ધિ આપીને માણસને ઉચ્ચ કોટિનો માનવ બનવા તેને અગાથ શક્તિઓ આપી છે તેનો સદુપયોગ માનવને સાચો મનુષ્ય બનાવે છે અને જીવન મંગળમય બનાવી દે છે.
સં સ્કૃતિના મૂળમાં વિચાર અને વિવેક આ બે બાબતો રહેલી છે. જગતનાં સર્વ પ્રાણીઓમાં વિચારવાની શક્તિ અને પોતાનાં ભાવિને લાંબે સુધી જોવાની શક્તિ માત્ર મનુષ્યમાં જ રહેલી છે. તેથી તેના વિચારોની મદદથી તેણે પોતાના જીવનમાં નોંધપાત્ર પરિવર્તનો કર્યા છે. આ પરિવર્તનો વૈજ્ઞાનિકની શોધખોળમાં, અભ્યાસની પ્રવૃતિઓમાં, નવું નવું સર્જન કરવાની ક્રિયાઓમાં, સંસ્કૃતિ સર્જનમાં, પૃથ્વીથી ચંદ્ર સુધી પહોંચવાની પ્રગતિઓમાં સમાવેશ થાય છે.
ઈશ્વરે બુદ્ધિ આપીને માણસને ઉચ્ચ કોટિનો માનવ બનવા તેને અગાથ શક્તિઓ આપી છે તેનો સદુપયોગ માનવને સાચો મનુષ્ય બનાવે છે અને જીવન મંગળમય બનાવી દે છે. પણ તેનો દુરુપયોગ તેને દાનવ, રાક્ષસ, ચોર, લુટારૂ, આતંક બનાવીને પશુથીય નીચલી કક્ષાનો ઢોર જેવો બનાવી દે છે.
સંસ્કૃતિ એટલે માનવીને જંગલી અવસ્થામાંથી સભ્ય અવસ્થાએ લઈ જવાની પ્રક્રિયા અને પરિબળો જગતની ચૈતત્ય સૃષ્ટિમાં મનુષ્ય બીજા પ્રાણીઓથી ચાર બાબતે તે જુદો પડે છે. (૧) તેનો શારીરિક આકાર (૨) તેનો સામાજિક વારસો (૩) બુદ્ધિ અને (૪) વાચા (વાણી શક્તિ). સંસ્કૃતિના સર્જન માટે આ ચારેય અત્યંત જરૂરી છે.
દરેક પ્રાણીઓથી જ તે જુદો પડે છે. તેને પ્રયત્નશીલ, ઉદ્યમશીલ, પ્રગતિશીલ ઈશ્વરે બનાવ્યો છે. આ દરેકના સદ્ઉપયોગ માટે સદ્વિચારો, સદ્બુદ્ધિ, સત્સંગ, સદાચારનો જે સારી રીતે કરે તો તેની માનવતા તેને મહાન માનવ બનાવી દે છે. અને તેનો દુરુપયોગ તેને અધોગતિએ લાવી પશુ જેવો બનાવી દે છે. આથી જ કહેવાય છે 'તું માનવ થા' પ્રાણીઓને કે અન્ય જીવોને કહેવાતું નથી કે તું પ્રાણી થા.
આપણે હંમેશા સાંભળતા હોઈએ છીએ કે માણસાઈનો દુકાળ છે. તો આપણે જાતે જ માણસ બની જઈએ તો ? ડોકટર, એન્જિનિયર, શિક્ષક, અધિકારી, કર્મચારી, ખેડૂત, ઉદ્યોગપતિ, વેપારી, ગૃહસ્થી, વિદ્યાર્થી તો રોજ હોઈએ છીએ. તેનો દુકાળ નથી પણ સાઈ માનવતા, માણસાઈ તો ક્યારેક ક્યારેક જોવા મળે છે. આજે તે માણસાઈનો દુકાળ છે. એટલે વેદોમાં કહેવું પડયું કે
मनुः भव (ઋગ્વેદ) માનવ થાઓ.
- ડો. ઉમાકાંત જે. જોષી