ધનસ્થ થવાની ભૂખ આજના જગતમાં છે
Updated: Mar 27th, 2024
(ગતાંકથી ચાલુ)
આ મ જીવનમાં અતિ આસક્ત, અતિ ધનલોભ અને અતિ ચિત્તની વસ્તુની પકડને કારણે જ આપણે આ જગતને બગાડયું છે, વિકૃત કર્યું છે અને હજી વધુને વધુ વિકૃત કરી રહ્યા છીએ. ક્યાં જઈને અટકશું તે નક્કી નથી. આવતી પેઢીને આ જગત જીવવા જેવું રહેવા દેશું કે કેમ તે આજે ચિંતાનો વિષય છે. આપણે દરેક જીવોને સમૂળગા ખાય ગયા છીએ તેનો સમૂળગો નાશ કરી નાખેલ છે. આ કહીકત છે. આની પાછળ આપણી અતિ આસક્તિ જ કામ કરે છે. તે હકીકત છે. તે જાણવા છતાં દુખ સાથે જ જીવીએ છીએ. જીવનનો આનંદ માણી શકતા જ નથી આ કેવી આપણે જ ઊભી કરેલી વિટંબણા.
અત્યારે દરેક માણસને આસક્તિ સાથે અને ચિત્તની વસ્તુની પકડ સાથે જીવીને ધનસ્થ થવામાં જ રસ છે. ધન જીવન જીવવા જરૂરી છે, તેની ના નથી, પણ તેના ઢગલા ઉપર બેસવાનો આંતરનો ભાવ ખતરનાક છે, એટલું જ સત્ય ધર્મનું કહેવાનું છે કે ધન પણ સત્ય ધર્મને સાથે રાખીને કમાવાનું કહ્યું છે. સત્ય ધર્મ એટલે આત્મિક સત્ય સ્વરૂપ થઈને અંતર આત્માના સત્યને ધારણ કરીને સત્ય સ્વરૂપ જીવન જીવવું છે. જ્યાં આત્મિક સત્ય સ્વરૂપ વ્યવહાર અને આચરણ નથી ત્યાં સત્ય ધર્મ નથી, એટલું જાણો.
માનવ જીવનમાં આત્મા જ સુક્ષ્મથી સુક્ષ્મ અને મહાનથી મહાન પરમાત્મા સ્વરૂપ છે. તે માણસના હૃદયગૃહમાં જ વસે છે, તેને પાત્ર એજ બની શકે છે. જે જીવનમાં ટોટલી અનાસક્ત ભાવમાં, અહંકારરહિત ભાવમાં, કર્તારહિત ભાવમાં, ઈચ્છાઓથી મુક્ત, તૃષ્ણાથી મુક્ત થઈને અંતરઆત્માના સત્યમાં સ્થિર થઈ જીવનમાં આત્મિક સત્ય અનુસાર આચરણ વ્યવહાર અને અનુસરણ કરીને સ્વ સ્વરૂપમાં અને સ્વભાવમાં સ્થિરતા પ્રાપ્ત કરીને, શોકથી મુક્ત થઈને, જ્યારે માણસ પોતાની ઈન્દ્રિયોની પરમ શાંતિ આંતર સાધના દ્વારા પ્રાપ્ત કરે છે. તે જ સમયે પોતાના જ આત્માની ભવ્યતા આંતર ચક્ષુ દ્વારા જોવે છે. જોઈ શકે છે, અનુભવ કરે છે, અનુભૂતિ કરે છે, આજ આત્મા સાક્ષાત્કાર છે એટલું જાણો. આવા આત્મા સાક્ષાત્કાર અર્થે કોઈપણ પ્રકારની બૌદ્ધિક જ્ઞાનની ઉપયોગિતા સમજાવતા સત્ય ધર્મે સ્પષ્ટ કહ્યું છે કે આ આત્મા એટલે કે પરમ તત્વ પરમાત્મા છે, તે કદી પણ કોઈપણ સંજોગોમાં, બાહ્ય પરિસ્થિતિમાં બાહ્ય કારણો જેવા કે કથાઓના પ્રવચનો સાંભળવાથી કે બુદ્ધિમાન બનવાથી કે શાસ્ત્રજ્ઞાન વધારવાથી, કર્મકાંડ કર્મ ક્રિયાઓ બાહ્ય રીતે કર્મ કરવાથી આત્મા કે આત્મજ્ઞાન કે પરમતત્વ પરમાત્માને પામી શકાય નહી, તે સ્પષ્ટ છે, તેમાં શંકાને સ્થાન જ નથી. આ હકીકત આ સત્ય આજના માણસે છાતીના પાટિયા પર અંકિત કરી લેવા જેવી બીના અને હકીકત છે. આજે ધર્મનું આચરણ એટલે બાહ્ય ચારો કથાઓ સાંભળવી ટોળામાં હાજર થઈ હિસ્સો હિસ્સો કરવો તે સત્ય ધર્મનું અનુસરણ કે આચરણ નથી તે આ રીતે સાબિત થાય છે.
માણસ ધનથી અનેક પ્રકારે બાહ્ય ભૌતિક સુખો પામે છે, પણ આનંદ પામી શકતો જ નથી. ધન, વૈભવ-વિલાસની સુવિધા આપે છે. ધન દ્વારા આપણે મોટા દેખાઈ શકે છે, પણ અંતરથી આત્મિક મોટાઈનો અભાવ હોય છે. જીવનમાં આત્મિક વિશાળતા એજ માણસની મોટાઈ છે અને આત્મિક મોટાઈ એજ આનંદ અવસ્થા છે.
(ક્રમશ:)
- તત્વચિંતક વી. પટેલ