કોંગ્રેસ-ડાબેરીઓનું પ્રેમ યુદ્ધ
Updated: Apr 22nd, 2024
નવીદિલ્હી: દેશનાં અન્ય રાજ્યોમાં કોંગ્રેસ અને ડાબેરીઓની સમજૂતી છે પરંતુ કેરળમાં તેઓ પરંપરાગત હરીફો છે. સીપીએમના મહામંત્રી સિતારામ યેચુરી એ વાતે દુઃખી દુખી છે કે રાહુલ સહિતના કોંગ્રેસી નેતાઓ તેમના પ્રચાર દરમિયાન કેરળના મુખ્યપ્રધાન પિનારાઈ વિજયન પર સીધા પ્રહારો કરી રહ્યા છે. કેરળના અલાપ્પુઝા ખાતે એક મીડિયા સંવાદમાં યેચુરીએ કહ્યું હતું કે ભાજપ સામે તમામ વિપક્ષો સાથે મળીને લડે તે માટે ઈન્ડિયા ગઠબંધનની રચના કરવામાં આવી છે. અમે સર્વત્ર આ ગઠબંધનને સંપૂર્ણ ટેકો આપી રહ્યાં છીએ. પરંતુ, કેરળમાં કોંગ્રેસ અમારા નેતાઓેને ટાર્ગેટ કરી રહી છે. રાહુલ ગાંધીએ કન્નુર અને પલ્લકડમાં ચૂંટણી સભાઓને સંબોધતી વખતે એમ કહ્યું હતું કે કે પિનારાઈ વિજયન પર ભ્રષ્ટાચારના સંખ્યાબંધ આક્ષેપો છે તેમ છતાં પણ ઈડી કે આઈટી જેવી એજન્સીઓએ તેમની સામે તપાસ ચાલુ કરી નથી કે તેમને પૂછપરછ માટે પણ બોલાવ્યા નથી તે નવાઈજનક છે.
પહેલીવાર ચીફ જસ્ટિસ દ્વારા મતદાર જાગૃતિ
ભારતના ચીફ જસ્ટિસ મતદાર જાગૃતિ અભિયાનમાં સામેલ થયા હોય તેવું પહેલી વખત બન્યું છે. ચીફ જસ્ટિસ ડી.વાય. ચન્દ્રચુડ ચૂંટણી પંચના માય વોટ માય વોઈસ કેમ્પેઈનમાં સામેલ થયા છે. તેમણે મતદારોને મતદાનના બંધારણીય અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે. દૂરદર્શનની ટુ ટયૂબ ચેનલ પર અપલોડ કરાયેલા એક વીડિયોમાં ચીફ જસ્ટિ ચંદ્રચુડ મતદારોને એવી અપીલ કરતા જોવા મળે છે કે બંધારણે દેશના નાગરિકોને અનેક અધિકાર આપ્યા છે અને સાથે સાથે એવી પણ અપેક્ષા સેવવામાં આવે છે કે નાગરિકો પોતાની ફરજોનું પણ પાલન કરે. મતદાન કરવું એ એક નાગરિક ધર્મ છે અને સૌએ તેન અનુસરવું જોઈએ.
લિકર સ્કેમમાં નિવૃત્ત આઈએએસની ધરપકડ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રવિવારે લિકર સ્કેમમાં છત્તીસગઢના નિવૃત્તિ આઈએએસ અધિકારી અનિલ તુટેજાની ધરપકડ કરવામાં આવી હતી તુટેજાને પીએમએલની જોગવાઈઓ હેઠળ ઝડપી લેવાયા બાદ મ ેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. અગાઉ રાયપુર ખાતે તુટેજા તથા તેમના દીકરા યશની આગલા દિવસે ઈડી દ્વારા આકરી પૂછપરછ હાથ ધરાઈ હતી.
અજિતનાં પત્ની માટે સઘના કાર્યકરોનો પ્રચાર
ન ભૂતો ન ભવિષ્યતિ જેવી વાત લાગે પરંતુ મહારાષ્ટ્રમાં એનસીપી ( અજિત પવાર જૂથ) માટે આરએસએસના કાર્યકરો પણ પ્રચાર કરી રહ્યા હોવાના અહેવાલો છે. બારામતીમાં પવાર પરિવારના બે સભ્યો સુપ્રિયા સૂળે તથા સુનેત્રા પવાર સામસામે છે. દીકરી સુપ્રિયાની સીટ બચાવવા માટે શરદ પવાર તમામ પ્રકારના ઉપાયો અજમાવી રહ્યા છે. બીજી તરફ બારામતીમાં પણ હવે કાકાનું નહીં પણ પોતાનું વર્ચસ્વ છે તે સાબિત કરવા માટે અજિત પવાર પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બારામતીમાં પાછલાં કેટલાંક વર્ષોમાં બહુ ઝડપથી શહેરીકરણ થયું છે. જોકે, સંઘે કામે લાગવું પડયું તેનું બીજું પણ એક કારણ છે. બારામતી બેઠક સ્વાભાવિક રીતે જ એનસીપીને ફાળે ગઈ તેથી ભાજપના આ પરંપરાગત મતદારોએ ભારે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. આમાંતી અનેક મતદારો મતદાન કરવા બહાર જ ન નીકળે તો સુનેત્રા પવાર માટે મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે. આથી, સંઘના કાર્યકરો આ મતદારોને સમજાવી રહ્યા છે કે આ વખતે ભલે ઘડિયાળ પર પણ બટન દબાવજો કારણ કે આપણે પીએમ તરીકે નરેન્દ્ર મોદીને ફરી સત્તારુઢ કરવાના વ્યાપક હેતુને ધ્યાને રાખવાનો છે.