Gujarat

સુરત: ભાજપના સ્નેહ મિલનમાં ડબલ વેક્સિનેશન ચકાસે તો પાલિકાનો ટાર્ગેટ પુરો થઈ શકે

By GS Team
16 Nov 20213 mins read
This article was originally published on 16 Nov 2021
સુરત: ભાજપના સ્નેહ મિલનમાં ડબલ વેક્સિનેશન ચકાસે તો પાલિકાનો ટાર્ગેટ પુરો થઈ શકે

બસ, મોલ, જીમ, ગેમ ઝોન, ગાર્ડન, સ્વીમીંગ પુલ, પાલિકા કચેરીમાં ડબલ વેક્સિન ફરજ્યાત તો રાજકીય કાર્યક્રમમાં પાલિકા ચકાસણી કરશે?

સુરત, તા. 16 નવેમ્બર 2021 મંગળવાર 

સુરત મ્યુનિ. તંત્ર કોરોનાની લહેર સામે લડત કરવા માટે ડબલ વેક્સિનેશન પર ભાર મુકી રહી છે. પાલિકાએ પ્રજા માટે કોરોનાના નિયમ કડક કર્યા છે તેમાં બસ, મોલ, જીમ, ગેમ ઝોન, સ્વીમીગ પુલ સહિતના જાહેર સ્થળોએ ડબલ વેક્સીન ન હોય તેને પ્રવેશ આપવામાં આવતો નથી. પાલિકાના આ નિયમનું લોકો સન્માન કરી રહ્યાં છે તો બીજી તરફ 24 નવેમ્બરે વધતાં જતા કેસ વચ્ચે ભાજપનું સ્નેહ મિલન સમારોહ થવા જઈ રહ્યો છે. 

આ સમારંભમાં 30 હજારથી વધુ કાર્યકરો ભેગા થઈ રહ્યાં છે ત્યારે લોકો પર લાદવામાં આવેલા નિયમ રાજકારણીઓ સામે પાલિકા લાગુ કરશે કે નહીં? તે અંગે અનેક અટકળ થઈ રહી છે. જો પાલિકા તંત્ર ભાજપના સ્નેહ મિલન સમારોહમાં ડબલ વેક્સીનેશન ફરજ્યાત કરે તો ડબલ વેક્સીનની સફળતાનો રેશીયો અનેકગણો વધી શકે છે.

સુરત મ્યુનિ. તંત્ર કોરોના અટકાવવા માટે અનેક નિયમો બનાવી રહી છે તેનો સખ્તાઈથી અમલ પણ કરી રહી છે. પાલિકાએ ગઈકાલથી પાલિકાની સીટી બસ, બીઆરટીએસ બસ, સ્વીમીંગ પુલ, એક્વેરિયમ, પ્રાણી સંગ્રાહલય, ગાર્ડન ઉપરાંત પાલિકાની તમામ કચેરીઓમાં ડબલ વેકસીનેશન ફરજ્યાત કર્યું છે. આ જગ્યાએ ડબલ વેક્સીનેશન ન હોય તેવા 7905 લોકોને એન્ટ્રી આપવામાં આવી ન હતી. 

પાલિકાની આ કડકાઈના કારણે ગઈકાલે એક જ દિવસમાં 25 હજારથી વધુ લોકોનું વેક્સીનેશન થયું છે તેમાં ચાર હજાર લોકોએ પહેલો ડોઝ લીધો જ્યારે 20 હજારથી વધુ લોકો બીજો ડોઝ લેવા માટે આવ્યા હતા. આ ઉપરાંત એકાદ બે દિવસમાં સુરતના મોલ, મલ્ટીપ્લેક, ગેમ ઝોનમાં પણ ડબલ વેક્સીનેશન ન હોય તો એન્ટ્રી નહીં તેનો અમલ કરવા જઈ રહી છે. 

વેક્સીનના ડબલ ડોઝ માટે પાલિકાએ દાખવેલી કડકાઈના કારણે બીજો પહેલો ડોઝ લીધો હોય અને 84 દિવસ કરતાં વધુ સમય થઈ ગયો હોય તેવા લોકો બીજો ડોઝ લેવા માટે દોડતાં થયાં છે. પ્રજા માટે આ પ્રકારની કડકાઈ દાખવનાર સુરત મહાનગરપાલિકા રાજકારણીઓ માટે પણ જો આ નિયમનું પાલન કરાવડાવે તો સુરત ગુજરાતમાં બીજો ડોઝ લેવામાં સૌથી અગ્રેસર રહી શકે તેમ છે. સુરતમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની આગવાનીમાં ભાજપનું સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. 

ભાજપના આ સ્નેહ મિલન સમારોહમાં 30 હજારથી વધુ લોકોને ભેગા કરવા માટેનું આયોજન થઈ રહ્યું છે. જેવી રીતે પાલિકા સુરતની પ્રજા પાસે કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવે છે અને ડબલ ડોઝ નહી હોય તો પ્રવેશ નહીં તેવો અમલ કરે છે તો આ સ્નેહ મિનલ સમારોહમાં પણ ડબલ ડોઝ વિના એન્ટ્રી નહીંનો નિયમ બનાવે તો સુરતમાં વેક્સીનેશનની કામગીરી વધુ આક્રમક બની રહે છે. 

માત્ર ભાજપ જ નહીં પરંતુ કોંગ્રેસ કે પાલિકાના વિપક્ષ આપના કે અન્ય કોઈ રાજકીય પાર્ટીના જાહેર કાર્યક્રમ હોય તેમાં પણ મોલ- ગેમ ઝોનની જેમ ડબલ વેક્સીનેશન ફરજ્યાત કરવું જોઈએ તેવું લોકો કહી રહ્યાં છે. જે નિયમ સામાન્ય પ્રજા માટે હોય છે પાલિકા તેનો કડકાઈપુર્વક અમલ કરાવે છે તે જ નિયમો રાજકારણીઓ માટે પણ અમલ કરાવવા જોઈએ તેવી લોકો ડિમાન્ડ કરી રહ્યાં છે.