રાજસ્થાન ભરતપુરના લાલ પથ્થરથી બની રહ્યું છે તરસાડીમાં હનુમાન મંદિર
Updated: Jul 9th, 2021
16 કલાત્મક સ્તંભ અને અદ્દભૂત ગર્ભગૃહ સંકટ મોચન હનુમાન મંદિરના
આકર્ષણ
તરસાડી
આસ્થાના પ્રતિક સમાન સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના તરસાડી નગરની મધ્યમાં
પ્રસ્થાપિત થયેલા પૌરાણિક એવા શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરનું રાજસ્થાનના
ભરતપુરથી લાવવામાં આવેલા અદ્દભૂત કોતરણી કરાયેલા લાલ પથ્થરોથી નિર્માણ કાર્ય
કરવામાં આવી રહ્યું છે. જે નગરની શોભામાં અભિવૃદ્ધ બની રહેશે.
ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલા તરસાડીના શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરનાં થઈ રહેલા નવા નિર્માણમાં ૧૬ સ્તંભ છે. આ તમામ સ્તંભ અદ્દભૂત કલાત્મક કોતરણીથી અલૌકિક રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે. જ્યારે મંદિરનો ગર્ભગૃહ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.નગરના મધ્યમાં પ્રસ્થાપિત થયેલા મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ હોવાનું કહેવાય છે. લોકવાયકા મુજબ આ જગ્યાએ વર્ષો પહેલા માત્ર નાની ડેરી જેવું મંદિર હતુ. સમય જતા ભક્તોની પરમ કૃપાથી શ્રી સંકટ મોચન હનુમાનજીનાં મંદિરનો વ્યાપ વધ્યો હતો. હવે અહીં ભવ્ય મંદિર નિર્માણ પામશે અને સેંકડો ભક્તોનાં સંકટ હનુમાનજી દૂર કરશે એવી શ્રદ્ધા ભક્તોમાં છે.