સુરત: છ માસથી પગાર નહી થતા સિવિલના હિમોફીલિયા સેન્ટરના કર્મચારીઓ હડતાલ ઉપર જતા દર્દીઓ મુશ્કેલીમાં
Updated: Jul 5th, 2021
સુરત,તા.5 જુલાઈ 2021,સોમવાર
સુરત નવી સિવિલ હોસ્પિટલના હીમોફીલિયા સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓ છ મહિનાથી પગાર નહીં મળતા આજથી કર્મચારીઓ હડતાલ પર જતા ત્યાં સારવાર અર્થે આવેલા દર્દીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
હિમોફીલિયા એટલે લોહીનો વારસાગત રોગ છે જેમાં લોહી ગંઠાવાની પ્રક્રિયામાં ખામીયુક્ત હોય છે સુરતમાં હિમોફિલિયાના અંદાજિત 450 દર્દીઓ છે. આ દર્દીઓને નાની મોટી તકલીફ થાય તો સારવાર માટે નવી સિવિલમાં હીમોફીલિયા સેન્ટરમાં આવે છે પણ આ સેન્ટરમાં ફરજ બજાવતા ડોક્ટર નર્સિંગ સ્ટાફ કાઉન્સિલર ઓપરેટર સહિત પાંચ થી છ કર્મચારીઓ છેલ્લા છ માસથી પગાર નહિ થતા હાલત કફોડી થઈ ગઈ છે જેથી કર્મચારીઓ પગાર નહીં થતા આખરે આજથી હડતાલ પર ગયા છે જેના કારણે ત્યાં સારવાર અર્થે આવેલા દર્દીઓ હાલાકી વેઠી રહ્યા હોવાનું જાણવા મળે છે.
નોંધનીય છે કે જહાંગીરપુરામાં રહેતો પાંચ વર્ષીય હાદ કુણાલ પટેલ હીમોફીલિયા બીમારીથી પીડાતો છે તેને જમણા હાથની કોણીમાં દુખાવો થતાં આજે સવારે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા જ્યારે કતારગામમાં રહેતો 24 યોગેશ પાંડોળને જમણા હાથની કોની અને પીઠમાં દુખાવો થતા સારવાર માટે નવી સિવિલમાં આવ્યા હતા આ સહિત કેટલાક દર્દીઓ પણ સારવાર માટે સિવિલમાં હીમોફીલિયા સેન્ટરમાં આવ્યા હતા ત્યાં સેન્ટરમાં સ્ટાફની હડતાલ હોવાથી દર્દીએ સારવાર વગર જવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળે છે.
નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રાગિણીબેન વર્માએ કહ્યું હતું કે હીમોફીલિયા સેન્ટરના એમ.ઓ.યુ એસ્સાર કંપની સાથે થયા હતા જોકે કંપનીએ અગાઉ કોઈ કારણસર પગાર નહી કરતા હીમોફીલિયા સોસાયટી દ્વારા ત્યાંના કર્મચારીઓને પગાર કરવામાં આવતો હતો પણ તેમણે પણ કોઈ કારણસર પગાર આપવાનું બંધ કર્યું હતું જેથી ફરી એસ્સાર કંપની રિક્વેસ્ટ કરતા હાલમાં પગાર કર્યો છે જેથી તેના કર્મચારીઓને પગાર આપવામાં આવશે.