'બ્રિજ સિટી' સુરતના 120 માં બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરાશે
Updated: May 18th, 2023
- સુરતમાં આજે તાપી નદી પર 15મો બ્રિજ ખુલ્લો મુકાશે
- આ બ્રિજ બનવાથી અમરોલી બ્રિજ નું ભારણ હળવું થશે : અંદાજીત 6 થી 8 લોકોને બ્રિજનો લાભ મળશે ટ્રાફિક સમસ્યા હળવી થશે
સુરત,તા.18 મે 2023,ગુરૂવાર
બ્રિજ સિટી સુરતમાં આજે તાપી નદી પર 15મો બ્રિજને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વચ્યુઅલ ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકાશે. ગુજરાતના મુખ્યમંત્રી આ બ્રિજને ખુલ્લો મુકશે તેની સાથે જ સુરતમાં બ્રિજની સંખ્યા વધીને 120 થઈ જશે, વેડ વરિયાવ ચચ્ચે તાપી નદી પર બ્રિજનું લોકાર્પણ થતાં જ અમરોલી બ્રિજ નું ભારણ હળવું થઈ જશે અને ટ્રાફિક સમસ્યામાં પણ મહદ અંશે ઘટાડો થશે. આ બ્રિજનો લાભ અંદાજીત 6 થી 8 લોકોને મળશે સુરતના વેડ રોડ પરથી વરીયાવ જવા માટે સાત કિલોમીટરનો ચકરાવો થતો અટકી જશે.
સુરત શહેરનો વેડ–કતારગામ વિસ્તાર વરીયાવનાં વિસ્તાર સાથે તાપી નદી પરના જહાંગીરપુરા ડભોલી રીવર બ્રિજ થી તથા અમરોલી–કતારગામ વિસ્તાર અમરોલી રીવર બ્રિજ થી સાંકળવામાં આવ્યું છે. જોકે, હાલમાં અમરોલી બ્રિજ પર ટ્રાફિકનું ભારણ ઘણું જ વધી ગયું છે અને પીક અવર્સમાં ટ્રાફિક સમસ્યા વધી રહી છે. સુરત શહેરમાં પાલિકા દ્વારા અત્યાર સુધીમાં 119 બ્રિજ બનાવ્યા છે તેના કારણે સુરત બ્રીજ સીટી તરીકે ઓળખાઇ રહી છે હવે તાપી નદી પર વધુ એક બ્રિજનું આજે લોકાર્પણ થતાં સુરતમાં બ્રિજની સંખ્યા 120 થઈ જશે
આજે બપોર બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ હાજરીમાં આ બ્રિજને ખુલ્લો મુકાશે તેની સાથે જ સુરતમાંથી પસાર થતી તાપી નદી પર આ બ્રિજ 15મો બ્રિજ બની જશે. 28 ફેબ્રુઆરી 2019ના રોજ બ્રિજ 118 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવા માટે મંજુરી આપવામા આવી હતી. આ બ્રિજની કામગીરી 24 માસમાં પૂરી કરવાની હતી પરંતુ કોરોના અને નજરરુપ જગ્યા મળવામાં વિલંબ થતાં કામગીરી પર થોડા સમય માટે બ્રેક લાગી ગઈ હતી હવે કામગીરી પૂરી થતાં આજે લોકોને વધુ એક બ્રિજની ભેટ મળશે,
આ બ્રિજ ખુલ્લો મુકતા વરીયાવ વિસ્તારના રહેવાસીઓને ચોક તથા સ્ટેશન જેવા શહેરના મુખ્ય વિસ્તાર સુધી પહોંચવા માટે ખૂબ જ સરળતા થઈ જશે. તેમજ વેડ, કતારગામ તથા સુરત શહેરના અન્ય વિસ્તારના રહેવાસીઓને પણ સદર બ્રીજના કારણે મુખ્ય શહેરની આઉટર રીંગ રોડ અને હાઇવે સુધીની નવી કનેકટીવીટી મળશે. સાથો સાથ સમય અને ઇંધણની પણ બચત થશે. આ ઉપરાંત અમરોલી–કતારગામ વિસ્તારના લોકોને પણ ટ્રાફિકની સમસ્યાનો ઘણે અંશે રાહત થશે.