પાણીની તંગી: હરિયાણાના પંદર હજાર ખેડૂતો ચોખાનું વાવેતર છોડી મકાઈ તરફ વળ્યા
- મકાઈનો પાક લેવા સૃથાનિક સરકાર દ્વારા વિવિાૃધ પ્રોત્સાહનોની જાહેરાત
Updated: Jul 22nd, 2019
નવી દિલ્હી, તા. 22 જુલાઇ 2019, સોમવાર
હરિયાણમાં પાણીની તંગીએ ચોખાના વાવેતરનો ભોગ લીધો હોવાનું જોવા મળી રહ્યું છે. પાણીની અછતને કારણે હરિયાણાના પંદર હજાર જેટલા ખેડૂતોએ પોતાના પરંપરાગત પાક ચોખાનું વર્તમાન ખરીફ મોસમમાં વાવેતર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આ ખેડૂતો માત્ર ચોખાનો જ પાક લેતા હતા. છેલ્લા ૩૦ વર્ષમાં આવું પ્રથમ વખત જ જોવા મળ્યું છે.
પેડ્ડીના સ્થાને મકાઈનું વાવેતર કરવા રાજ્ય સરકાર તરફથી શરૂ થયેલા પ્રોત્સાહનો સ્વીકારવા આ ખેડૂતોએ સહમતિ દર્શાવી છે. હરિયાણાના કૃષિ વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે, એક હેકટર વિસ્તારમાં ચોખાને બદલે જો મકાઈ વાવવામાં આવે તો તેનાથી ૧૪૦૦૦ લિટર પાણીની બચત થાય છે.
આ ઝૂંબેશ હેઠળ નિશ્ચિત કરાયેલા જિલ્લાઓમાં મકાઈનો વાવેતર વિસ્તાર હાલમાં ૫૦,૦૦૦ હેકટર પહોંચી ગયો છે, એમ હરિયાણાના કૃષિ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. આ ઝૂંબેશને કારણે વર્તમાન ખરીફ મોસમમાં કુલ ૭૦ કરોડ લિટર પાણીની બચત થવાની આશા છે.
પંજાબ તથા હરિયાણમાં પેડ્ડી તથા ઘઉંના વાવેતર ચક્રને કારણે પાણીનું સ્તર ઘણું જ નીચે ચાલી ગયું છે. ભારત પાસે હાલમાં ચોખાનો જંગી સ્ટોકસ છે અને ખેડૂતોને પેડ્ડીનું વાવેતર નહીં કરવાનું સમજાવવાનું કઠીન છે, એમ સુત્રોએ જણાવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી ઝૂંબેશને સફળતા મળી રહી છે કારણ કે ખેડૂતો દ્વારા ઉગાડાનારી સંપૂર્ણ મકાઈ રાજ્ય સરકાર કેન્દ્ર દ્વારા નિશ્ચિત ટેકાના ભાવે ખરીદી કરનાર છે. હરિયાણામાં ભૂગર્ભ જળનું સ્તર ચિંતાજનક સપાટીએ નીચે ગયું છે.
પાણીનું સ્તર નીચે ગયું હોવા છતાં ખેડૂતો પેડ્ડીનું વાવેતર કરવાનું પસંદ કરે છે. પેડ્ડીના પાકને મકાઈ કરતા ૮૦ ટકા વધુ પાણીની આવશ્યકતા રહે છે.
હરિયાણામાં પાણી ખેંચવા માટે જરૂરી વીજ પૂરવઠો મફતમાં પૂરો પડાતો હોવાથી ખેડૂતો ચોખાના વાવેતરને પસંદ કરી રહ્યા છે.
મકાઈના વાવેતરને પ્રોત્સાહન આપવા હરિયાણા સરકારે સારી ગુણવત્તાના બી ઉપરાંત પ્રોડકશન સબસિડી તરીકે રૂપિયા ૨૦૦૦ રોકડા પણ પૂરા પાડવાની જાહેરાત કરી છે.