Business

સિંગતેલમાં ઝડપી ઉછાળો: ચીનની માગ વધ્યાના નિર્દેશો: સૌરાષ્ટ્રના તેલ બજારો ઉંચકાયા

By GS Team
16 Dec 20192 mins read
This article was originally published on 16 Dec 2019
સિંગતેલમાં ઝડપી ઉછાળો: ચીનની માગ વધ્યાના નિર્દેશો: સૌરાષ્ટ્રના તેલ બજારો ઉંચકાયા

મુંબઈ, તા. 16 ડિસેમ્બર 2019, સોમવાર

મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે સિંગતેલના ભાવ સૌરાષ્ટ્ર પાછળ ઝડપી ઉછળ્યા હતા. મુંબઈ બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૃ.૧૦૬૦ વાળા ઉછળી રૃ.૧૦૯૦ બોલાયા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ વધી રૃ.૧૦૭૫ તથા ૧૫ કિલોના રૃ.૧૭૧૦ બોલાયાના સમાચાર હતા. જે સિંગતેલમાં હાલ બે ટકા એફએફએવાળા માલોની નિકાસ ચીન તરફ વધ્યાની ચર્ચા હતી. સિંગદાણામાં મથકોએ દરીયાપારની માગ પણ નિકળી છે. દરમિયાન, રાજકોટ બાજુ આજે કોટન વોશ્ડના ભાવ વધી રૃ.૮૦૦થી ૮૦૩ રહ્યા હતા જ્યારે મુંબઈ બજારમાં કપાસીયા તેલના ભાવ વધી રૃ.૮૫૫થી ૮૬૦ રહ્યા હતા.

દરમિયાન, મલેશિયામાં આજે પામતેલનો વાયદો વધી છેલ્લે ૨૮, ૨૩, ૩૩ તથા ૪૪ પોઈન્ટ પ્લસમાં બંધ રહ્યો હતો જ્યારે ત્યાં  પામ પ્રોડકટના ભાવ અઢી ડોલર ઉંચા રહ્યા હતા. મલેશિયાથી પામતેલની કુલ નિકાસ ચાલુ મહિનાના ૧૫ દિવસ દરમિયાન ૧૫.૫૦ ટકા ઘટી ૫૭૨૪૦૯ ટન થઈ છે. જે પાછલા મહિને આ ગાળામાં ૬૭૭૬૧૬ ટન થઈ હતી, એવું એસજીએસ દ્વારા જણાવાયું હતું.

આ દરમિયાન, મલેશિયાથી ભારત તરફ નિકાસ આ ગાળામાં ૬૨૯૦૦ ટનથી ઘટી ૫૬૩૦૦ ટન થઈ છે. દરમિયાન, ઘરઆંગણે આજે સોયાબીનની આવકો દેશવ્યાપી ધોરણે આશરે ૪ લાખ ૮૦ હજાર ગુણી આવી હતી તથા મધ્ય- પ્રદેશ બાજુ આવી આવકો આશરે બે લાખ ગુણી આવી હતી તથા ત્યાં ભાવ રૃ.૩૮૦૦થી ૪૧૫૦ રહ્યા હતા.

મલેશિયામાં પામતેલનું કુલ ઉત્પાદન ચાલુ મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં આશરે ૨૭થી ૨૮ ટકા ઘટયાના સમાચાર હતા. બજારના જાણકારોના જણાવ્યા મુજબ ભારતની માગ મલેશિયાના બજારમાં પામતેલ માટે જાન્યુઆરીમાં ફરી વધવાની શક્યતા છે. ઘરઆંગણે આજે મગફળીની આવકો ગોંડલ બાજુ સવારે આશરે ૫૦ હજાર ગુણીની તથા રાજકોટ બાજુ આશરે ૨૫ હજાર ગુણી નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૃ.૮૦૦થી  ૯૫૦ રહ્યા હતા.

દરમિયાન, યુરોપના દેશોમાં પામતેલ પર આધારીત બાયોફયુઅલની આયાત પર અંકુશો હોતાં તેની સામે ઈન્ડોનેશિયાએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં પડકાર ફેંકવામાં આવ્યો છે. આર્જેન્ટીનાની નવી સરકારે ત્યાંથી નિકાસ થતા સોયાબીન, ઉત્પાદનોમાં ઘઉં તથા મકાઈ પર નિકાસ ટેક્સ વધાર્યાના સમાચાર મળ્યા હતા.

આર્જેન્ટીનાથી નિકાસ થતા સોયાખોળ તથા સોયાતેલની નિકાસ પરનો નિકાસ ટેક્સ ૨૪.૭૦ ટકાથી વધારી ૩૦ ટકા કરાયાના સમાચાર હતા. ચીનથી મળતા સમાચાર મુજબ ત્યાંની સરકારે અમેરિકાની વિવિધ ચીજો પર સૂચીત ટેરીફ અભરાઈ પર ચડાવી દીધાના સમાચાર હતા.