GST સુધારા માટે દોઢ વર્ષથી તૈયારી કરી રહ્યા હતા, ટેરિફ સાથે કોઈ લેવાદેવા નથી: સીતારમણની સ્પષ્ટતા
GST Rate : શું અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ ઝિંકાય બાદ ભારતે GST દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે? દેશમાં આ સવાલો થયા બાદ નાણામંત્રી નિર્મલા સીતારામણે સ્પષ્ટ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, અમે અમેરિકાના ઊંચા ટેરિફના કારણે જીએસટી દરોમાં ઘટાડો કર્યો નથી. જીએસટીમાં ઘટાડો કરવાની કામગીરી છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી હતી અને આ નિર્ણય એક દિવસમાં લઈ શકાયો નહોતો. અમે દરેક ચીજ-વસ્તુઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે, ત્યારબાદ ઘટાડાનો નિર્ણય લીધો છે.
GSTમાં સુધારોનો ટેરિફ સાથે કોઈ સંબંધ નહીં : સીતારામણ
નાણામંત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે, જુલાઈમાં મોંઘવારી સૌથી નીચલા સ્તરે પહોંચી છતાં અત્યારે જીએસટીમાં ઘટાડાની જરૂર કેમ પડી? તેના જવાબમાં તેમણે કહ્યું કે, ‘સરકાર હંમેશા મોંઘવારીને નિયંત્રણમાં રાખવા માટે આવા નિર્ણયો લેતી રહે છે. મોંઘવારી એ અર્થતંત્રનો ઉપર-નીચે થતો સૂચક છે. તેથી, જીએસટી સુધારો લાવવા માટે અમે મોંઘવારી આધારિત મુહૂર્તની રાહ જોઈ શકીએ નહીં. આ સુધારાઓનો ટ્રમ્પના ટેરિફ સાથે કોઈ સંબંધ નથી.’
આ પણ વાંચો : ભારતીય રેલવેનો વધુ એક મોટો નિર્ણય, પાર્સલ બુકિંગને લઈને લવાયો નવો નિયમ
‘અમે જીએસટીમાં સુધારા માટે દોઢ વર્ષથી તૈયારી કરી રહ્યા હતા’
તેમણે વધુમાં કહ્યું કે, ‘જીએસટીના દરો ઘટાડવા માટે દોઢ વર્ષ પહેલાં ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ(GoM)ની રચના કરવામાં આવી હતી. આ ગ્રૂપમાં કર્ણાટક અને બિહાર જેવા રાજ્યોના મંત્રીઓ સામેલ હતા, જેઓ સતત કામ કરી રહ્યા હતા. અમે 300થી વધુ વસ્તુઓ પર દરો ઘટાડ્યા છે અને આ નિર્ણય એક દિવસમાં ન લઈ શકાય. જનતા પરનો બોજ ઓછો કરવા માટે દરેક ચીજ-વસ્તુ પર વારંવાર ચર્ચા કરાઈ હતી, જેમાં સમય લાગ્યો હતો, તેથી તેને ટ્રમ્પના ટેરિફ કે મોંઘવારી દર સાથે જોડી શકાય નહીં.
GST કાઉન્સિલની બેઠકમાં ટેક્સ ઘટાડાનો નિર્ણય લેવાયો હતો
ઉલ્લેખનીય છે કે, ત્રીજી સપ્ટેમ્બરે 56મી જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી, જેમાં મહત્ત્વપૂર્ણ સુધારા જાહેર કરવામાં આવ્યા છે. 22 સપ્ટેમ્બરથી દેશમાં જીએસટીના માત્ર બે જ સ્લેબ પાંચ ટકા અને 18 ટકા અમલમાં આવશે. અગાઉ 12 ટકા અને 28 ટકાના ટેક્સ સ્લેબ હતા, જે હવે રદ કરી દેવાયા છે.
આ પણ વાંચો : UPI યુઝર્સ માટે ગુડ ન્યૂઝ: 24 કલાકમાં રૂ.10 લાખના ટ્રાન્ઝેક્શન કરી શકાશે, જાણો નવા નિયમ