Business

શેર બજારોમાં લાગુ કરાયેલી નવી ક્લોઝિંગ ઓક્શન મેકેનિઝમ પાછી નહીં ખેંચાય : સેબી ચેરમેન

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું કે, નવી ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS) પાછી ખેંચવામાં આવશે નહીં. ટ્રેડરોની ચિંતાઓ અંગે સમીક્ષા ચાલી રહી છે, ખાસ કરીને લેગસી સિસ્ટમ્સના અપડેટને લઈને. બજારમાં બિનજરૂરી મુદ્દાઓ ન ઊભા થાય અને સૂચક ભાવનું મહત્ત્વ જળવાઈ રહે તે જરૂરી છે. સેબી જરૂર પડ્યે ગોઠવણ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

શેર બજારોમાં લાગુ કરાયેલી નવી ક્લોઝિંગ ઓક્શન મેકેનિઝમ પાછી નહીં ખેંચાય : સેબી ચેરમેન

મુંબઈ : બજારમાં બિનજરૂરી મુદ્દાઓ ઊભા થવા જોઈએ નહીં, ટ્રેડરો માટે સૂચક ભાવ અત્યંત મહત્વપૂર્ણ છે : સેબી
શેર બજારોમાં તાજેતરમાં લાગુ કરવામાં આવેલી નવી ક્લોઝિંગ ઓક્શન સેશન (સીએએસ) કાયમ રહેશે, પાછી ખેંચવામાં આવશે નહીં એવું મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું છે. નિયામક તંત્ર નવી સિસ્ટમ વિશે ટ્રેડરો અને અન્ય માર્કેટ પાર્ટિસિપન્ટસ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓની સમીક્ષા કરી રહ્યું હોવાનું તેમણે કહ્યું હતું.
સેબી ચેરમેને વધુ જણાવ્યું હતું કે, સેબીએ પહેલા સીએએસના અમલીકરણમાં વિસંગતતા સમજવાની અને તેને કેવી રીતે દૂર કરી શકાય તે નક્કી કરવાની જરૂર છે. ચિંતાઓ મોટાભાગે લેગસી સિસ્ટમ્સની આસપાસ છે, જેને હજુ સુધી નવા ક્લોઝિંગ ઓક્શન ફ્રેમવર્ક માટે અપડેટ કરવામાં આવી નથી. સીએએસ ને રોજિંદા ધોરણે ટ્રેક કરી શકાતું નથી. બજારમાં બિનજરૂરી મુદ્દાઓ ઊભા થવા જોઈએ નહીં. ટ્રેડરો માટે સૂચક ભાવ અત્યંત મહત્વપૂર્ણ છે એમ તેમણે કહ્યું હતું.
ક્લોઝિંગ ઓક્શન એ ગત અઠવાડિે રજૂ કરાયેલ એક અલગ ૨૦ મિનિટનું સત્ર છે, જેમાં એક્સચેન્જો સ્ટોકના ક્લોઝિંગ ભાવને એવા સ્તરે નક્કી કરવા માટે ખરીદ અને વેચાણ ઓર્ડર એક્ત્રિત કરે છે, જેમાં મહત્તમ વોલ્યુમ એક્ઝિક્યુટ કરી શકાય. નિયમિત ટ્રેડિંગના છેલ્લી ૩૦ મિનિટમાં ટ્રેડ્સની સરેરાશ કિંમતનો ઉપયોગ કરવાની અગાઉની પદ્વતિને બદલે આ પદ્વતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે વાજબી અને વધુ પારદર્શક ક્લોઝિંગ ભાવ પ્રદાન કરવા અને મોટા ઓર્ડર માટે અમલીકરણ કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે રજૂ કરવામાં આવી હતી.
આ ફેરફારથી બજારના કેટલાક ખેલાડીઓ માટે ભાગીદારી ઘટવા અને નુકશાન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સેબી ચેરમેને કહ્યું હતું કે, અમે સીએએસ માટે પીએમએસ મોરચે સમસ્યાઓ ઓળખવા પર વિચાર કરીશું. સેબી વિવિધ હિસ્સેદારો સાથે સલાહ-સૂચન કરી રહ્યું છે, ઈનપુટ એક્ત્રિત કરી રહ્યું છે અને પ્રતિસાદનું નિરીક્ષણ કરી રહ્યું છે - જેમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો સમાવેશ થાય છે. જો કોઈ ગોઠવણ અથવા સુધારાની જરૂર પડશે, તો અમે ચોક્કસપણે તેનો વિચાર કરીશું એમ તેમણે ગત અઠવાડિયે કહ્યું હતું.