ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે ભારતીય એરલાઈન્સની આર્થિક કમર તૂટી, દૈનિક કરોડોનું નુકસાન
Indian Airlines News : ઈઝરાયલ-ઈરાન યુદ્ધ અને ઈરાનના કતારમાં હુમલા બાદ અનેક ફ્લાઈટો રદ થઈ ગઈ છે, જેના કારણે ભારતીય એરલાઈન્સ કંપનીઓને મોટો ફટકો પડ્યો છે. 23 જૂને ઈરાને કતારમાં અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા, ત્યારબાદ કતારે તેનું એરસ્પેસ બંધ કરી દીધું છે. ઈરાન અને પર્સિયન ગલ્ફે પણ એરસ્પેસ બંધ કરતા ત્યાંથી આવતી અને જતી તમામ ફ્લાઈટો રદ થઈ ગઈ છે, જેના કારણે અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.
અનેક દેશોના એરસ્પેસ બંધ થતા ભારતીય એવિએશન સેક્ટરને ફટકો
ઈઝરાયલ-ઈરાન સંઘર્ષના કારણે યુરોપ, મધ્ય-પૂર્વ અને ઉત્તર અમેરિકાની અનેક ફ્લાઈટોને અસર થઈ છે. આ પહેલા ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થતા બંને દેશોએ એકબીજા માટે એરસ્પેસ બંધ કરી દીધા છે, ત્યારથી ભારતીય એરલાઈન્સ ભારે નુકસાનનો સામનો કરી રહી હતી. હવે મધ્ય-પૂર્વમાં અનેક દેશોના એરસ્પેસ બંધ થતા ભારતીય એરલાઈન્સના પડકારોમાં વધારો થયો છે. અનેક દેશોના એરસ્પેસ બંધ થયા બાદ ભારતીય કોમર્શિયલ ફ્લાઈટોના રૂટ બદલવા પડ્યા છે, તો કેટલીક ફ્લાઈટમાં વિલંબ થયો છે, જ્યારે અનેક ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. બીજીતરફ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ કડક નિર્દેશ આપ્યા છે કે, એરલાઈન્સ કંપનીઓ પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપે, જ્યાં જરૂર પડે, ત્યાં રુટ બદલે અને જોખમ લાગે તો ફ્લાઈટ રદ કરી દે.
એર ઈન્ડિયાની અનેક ફ્લાઈટો રદ
સૌથી વધુ ભારતની રાષ્ટ્રીય એરલાઈન્સ એર ઈન્ડિયાને નુકસાન થઈ રહ્યું છે. એરલાઈન્સે 24 જૂન સુધીમાં મધ્ય-પૂર્વ, યુરોપ, મસ્કટ, શારજહા, અબૂ ધાબી, દમ્મમ અને દુબઈની ફ્લાઈટમાં કેન્સલ કરવાની પુષ્ટી કરી હતી. એર ઈન્ડિયાની લગભગ 30 ટકા ફ્લાઈટોને પણ અસર પડી છે, જેના કારણે પ્રતિ દિવસ હજારો મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવી જ રીતે ગલ્ફ રૂટ પર મજબૂત પકડ ધરાવતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ઓછા ખર્ચવાળી સહાયક કંપનીએ 15થી વધુ શહેરોમાં સંચાલન અટકાવી દીધું છે. હાલના સમયમાં અનેક ભારતીય પોતાના દેશ આવતા હોય છે, ત્યારે અનેક ફ્લાઈટોને અસર થતા વિદેશથી ભારત આવવા માંગતા ભારતીયો મહામુશ્કેલીમાં મુકાયા છે.
ફ્લાઈટોના રૂટ બદલાતા ઈંધણ ખર્ચ વધ્યો
એરસ્પેસ બંધ થવાના કારણે તેમજ કેટલાક દેશોમાં ઘર્ષણ જેવી સ્થિતિના કારણે ભારતીય એરલાઈન્સની અનેક ફ્લાઈટોને અસર પડી રહી છે. અમેરિકા અને યુરોપ માટેની લાંબા રૂટની ફ્લાઈટો ઈજિપ્ત અને ઉત્તર આફ્રિકાના એરસ્પેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. આ કારણે ફ્લાઈટમાં એક કલાકથી વધુ સમયનો વિલંબ વધી ગયો છે. એટલું જ નહીં ઈંધણ ખર્ચમાં પણ વધારો થતા તેની અસર ટિકિટની કિંમતો પર પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉદ્યોગના આંતરીક સૂત્રોના અંદાજ મુજબ, ફ્લાઈટ રદ, વિલંબ સહિતના કારણોસર ટાટા ગ્રૂપની માલિકીની એરલાઈન્સના સંચાલન ખર્ચમાં પ્રતિદિવસ રૂપિયા 10 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.
આ પણ વાંચો : જોર્ડન, ઓમાન, સીરિયા... વિશ્વના 51 દેશોમાં અમેરિકન સેનાની હાજરી ! જાણો કારણ