India-US Trade Deal : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર મસમોટો ટેરિફ ઝિંક્યા બાદ બંને દેશોની આયાત-નિકાસ પર ભારે અસર થઈ છે. ત્યારે આ વિવાદ ઉકેલવા માટે ભારત-અમેરિકા વચ્ચે અત્યાર સુધીમાં પાંચ વખત સકારાત્મક બેઠક યોજાઈ છે, જોકે હજુ સુધી કેટલાક વાંધાઓના કારણે તેનો નિવેડો આવ્યો નથી, ત્યારે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયૂધ ગોયલે ‘ભારત-અમેરિકા દ્વિપક્ષીય વ્યાપાર સમજૂતી’ આજે (5 નવેમ્બર) મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફાઇનલ કરવામાં સમય લાગશે : પિયૂષ ગોયલ
પિયૂષ ગોયલે કહ્યું કે, ‘બંને દેશો વચ્ચે વ્યાપાર સમજૂતી કરવા માટે ચાલી રહેલી વાતચીત સકારાત્કમ રીતે આગળ વધી રહી છે, પરંતુ કેટલાક સંવેદનશીલ અને ગંભીર મુદ્દા હોવાના કારણે કરારને અંતિમ રૂપ આપવામાં સમય લાગશે.’ તાજેતરમાં જ એક સરકારી અધિકારીએ સંકેત આપ્યો હતો કે, બંને દેશો ફાઇનલ ટ્રેડ ડીલ કરવાની નજીક પહોંચી ગયા છે.
ટ્રેડ ડીલ અંગે બંને દેશો વચ્ચે સકારાત્મક વાતચીત
અધિકારીએ કહ્યું હતું કે, ‘વેપાર અંગેના મોટાભાગના મુદ્દાઓ પર બંને દેશો સંમત થઈ ગયા છે, કરાર પર પણ કામ ચાલી રહ્યું છે, વાતચીત સારી રીતે આગળ વધી રહી છે, કોઈ નવા મુદ્દાઓના કારણે અવરોધ ઊભો થયો નથી. ભારત અને અમેરિકાએ નક્કી કરેલા સમયમાં સમજૂતી કરવાની આશા વ્યક્ત કરી છે.
ટ્રમ્પના ટેરિફના કારણે બંને દેશોના વેપાર પર અસર
ટ્રમ્પે ભારત પર મસમોટો ટેરિફ ઝિંક્યા બાદ બંને દેશોના વેપાર અસર પડી છે, જેને ઉકેલવા માટે 23 ઑક્ટોબરથી બંને દેશો વચ્ચે વાતચીતનો દોર ચાલી રહ્યો છે. માર્ચથી અત્યાર સુધીમાં પ્રથમ તબક્કા હેઠળ પાંચ રાઉન્ડની બેઠકો પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં છેલ્લી બેઠક 23 ઑક્ટોબરે વર્ચ્યુઅલ યોજાઈ હતી. આ બેઠકોનો ઉદ્દેશ્ય એ છે કે, વર્તમાન સમયમાં બંને દેશો વચ્ચે 191 બિલિયન અમેરિકન ડૉલરનો વેપાર થઈ રહ્યો છે, જેને 2030 સુધીમાં 500 બિલિયન અમેરિકન ડૉલર સુધી લઈ જવાનો ઉદ્દેશ્ય છે.
આ પણ વાંચો : વિશ્વભરને ચેતવણી... તાપમાન વધશે તો શું થશે? જુઓ રિપોર્ટ


