India-US Trade Deal 2026 : ભારત-અમેરિકા વચ્ચે 2 ફેબ્રુઆરી, 2026ના રોજ અભૂતપૂર્વ વેપાર કરાર થયો. લાંબા સમયથી ચાલતા ટેરિફ વિવાદો અને પ્રતિબંધો પછી, આ કરારને વેપાર તણાવ ઘટાડનારો અને વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરનાર સોદા તરીકે જોવામાં આવે છે. કરાર હેઠળ ભારત અને અમેરિકા બંનેએ પોતાના-પોતાના બજારો વધુ ખુલ્લા કરવાનો માર્ગ પસંદ કર્યો છે. જોકે સંવેદનશીલ ક્ષેત્રોમાં સાવચેતી જાળવી રાખવામાં આવી છે. ચાલો જાણીએ કે આ કરારથી ભારતને કેટલો અને કેવો ફાયદો થશે, અને એની અસર ભારતના ખેડૂતો પર કેવી પડશે.
અમેરિકન માલ માટે ભારતના વિશાળ બજારના દરવાજા ખુલ્યા
નવા કરાર મુજબ ભારતે અમેરિકન ઉત્પાદનોની એક વિશાળ શ્રેણી પર ટેરિફ અને બિન-ટેરિફ અવરોધો લગભગ શૂન્ય સુધી લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જેમાં કૃષિ અને ઔદ્યોગિક બંને પ્રકારના માલનો સમાવેશ થાય છે. ખાસ કરીને ફળો, શાકભાજી, બદામ, અખરોટ, પિસ્તા, વાઇન, સ્પિરિટ્સ તેમજ હાઇ-ટેક સાધનો જેવા ઉચ્ચ મૂલ્યના ઉત્પાદનો પરનો ટેરિફ દૂર થશે અથવા નોંધપાત્ર રીતે ઘટશે. અગાઉ ઔદ્યોગિક માલ પર સરેરાશ 13.5 ટકા જેટલી ડ્યુટી હતી, જે હવે શૂન્ય તરફ લઈ જવામાં આવશે. સવાલ એ છે કે અમેરિકન ઉત્પાદનો માટે બિછાવાયેલી લાલ જાજમને પરિણામે શું ભારતના MSME ઉદ્યોગોને સહન કરવાનું નહીં આવે?
આ પણ વાંચો : ફ્લાઈટના એન્જિનમાં આગ, કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ
અમેરિકાએ ભારતીય નિકાસને રાહત આપી
ભારતે ખોલેલા બજાર-દરવાજાના બદલામાં અમેરિકાએ પણ મોટું પગલું ભરીને ભારતીય નિકાસકર્તાઓને અમેરિકન બજારમાં મોટી રાહત આપી છે. અમેરિકાએ ભારતીય માલ પર લાગતો ટેરિફ 50 ટકા જેવી ઊંચી સપાટીથી ઘટાડીને 18 ટકા કર્યો છે, જેને પરિણામે ટેક્સટાઇલ અને ગારમેન્ટ, ફાર્માસ્યુટિકલ્સ, આઇટી હાર્ડવેર, ઇલેક્ટ્રોનિક્સ, ઓટો પાર્ટ્સ, એન્જિનિયરિંગ ગુડ્સ જેવા ક્ષેત્રોને વિશેષ ફાયદો થાય એમ છે. આ ઘટાડો બે મુખ્ય પગલાંથી શક્ય બન્યો છે:
1. ‘રેસિપ્રોડકલ ટેરિફ’ને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવો.
2. રશિયન ઓઈલની ખરીદી સાથે જોડાયેલી વધારાની 25 ટકા દંડાત્મક ડ્યુટી સંપૂર્ણપણે હટાવવી.
અહીં પણ એક પ્રશ્ન ઊભો થાય છે: શું 18 ટકા ટેરિફ ‘ફેર ટ્રેડ’ કહેવાય? એ હજુ પણ ભારતીય ઉત્પાદકો માટે ઊંચી અડચણ નથી? ખાસ કરીને ત્યારે જ્યારે ભારત અમેરિકન માલને લગભગ શૂન્ય ડ્યુટી પર પ્રવેશ આપી રહ્યું છે.
ઓઈલ માટે રશિયા નહીં, અમેરિકાની વાટ પકડો
આ કરારનો સૌથી સંવેદનશીલ અને વ્યૂહાત્મક મુદ્દો ઊર્જા સાથે જોડાયેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે ભારત રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી ધીમે ધીમે બંધ કરશે અથવા નોંધપાત્ર રીતે ઘટાડશે. રશિયાને બદલે ભારત હવે અમેરિકા અને સંભવિત રીતે વેનેઝુએલા જેવા દેશોમાંથી ઊર્જા આયાત વધારશે. તેમાં અમેરિકન પેટ્રોલિયમ, LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) અને કોલસાનો સમાવેશ થાય છે. આ નિર્ણયને માત્ર વેપાર નહીં, પરંતુ ભૂરાજકીય સંતુલનના પગલાં તરીકે પણ જોવામાં આવે છે. અલબત્ત, ભારતને અમેરિકન ઊર્જા આયાત રશિયન ઉત્પાદનો કરતાં મોંઘા પડવાના છે, જેની માર ભારતના નાગરિકોને પડશે જ પડશે.
આ પણ વાંચો : 17 શહેરોમાં 20 નવી ટ્રેનો શરૂ, જુઓ તમામ રૂટોની યાદી
પાંચ વર્ષમાં $500 બિલિયનની ખરીદીની યોજના
ભારતે આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી $500 બિલિયનથી વધુની ખરીદી કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ ખરીદીમાં ઊર્જા ઉપરાંત ટેકનોલોજી, વિમાન, સંરક્ષણ સાધનો અને કૃષિ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. અમેરિકન ઉદ્યોગો માટે આ મોટો અવસર છે, તો ભારત માટે ટેકનોલોજી અને ઊર્જા સુરક્ષા મજબૂત કરવાની તક ઊભી થઈ છે.
ભારતે ખેડૂતોના હિતો ધ્યાનમાં રાખ્યા છે
અમેરિકન ઉત્પાદનો માટે બજાર ખુલ્લું મૂક્યું હોવા છતાં ભારત પોતાના ખેડૂતોના હિતો ભૂલ્યું નથી. નાના ખેડૂતોની આવક, ગામડાની રોજગારી અને દેશની ખાદ્ય સુરક્ષા જળવાઈ રહે એ માટે કેટલાક સંવેદનશીલ ક્ષેત્રોને કરારમાં સામેલ કરવામાં આવ્યા નથી. ડેરી, બીફ, ખાંડ, મરઘાં, મકાઈ અને અન્ય અનાજ પર શૂન્ય ટેરિફ લાગુ નહીં થાય, જેથી આ ક્ષેત્રો પર વિદેશી સ્પર્ધાનું અચાનક દબાણ ન પડે અને ખેડૂતોને નુકસાન ન થાય.
GM પાકો પર અડગ વલણ
આનુવંશિક રીતે સુધારેલા (GM - Genetically Modified) પાકો બાબતે પણ ભારતનું વલણ યથાવત રહ્યું છે. GM સોયાબીન અને સોયાબીન મીલની આયાત પર પ્રતિબંધ અથવા કડક નિયંત્રણ ચાલુ રહેશે. સરકારનું માનવું છે કે આવા પાકોથી સ્થાનિક સોયા ખેડૂતોને ગંભીર નુકસાન થઈ શકે છે. આ મુદ્દે ભારતે વેપાર કરતાં રાજકીય અને સામાજિક સ્થિરતાને પ્રાથમિકતા આપી છે, એમ કહી શકાય.
વેપાર કરાર નહીં, વ્યૂહાત્મક સંધિ
હાલમાં કરારના કાનૂની લખાણને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે, પરંતુ દિશા સ્પષ્ટ છે. આ સોદો માત્ર ટેરિફ ઘટાડવાનો નથી, પરંતુ ભારત અને અમેરિકા વચ્ચેના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાનો પ્રયાસ છે. ‘બજાર ઉદારીકરણ અને વૈશ્વિક વેપારમાં વધુ ભાગીદારી’ કરવા ઉપરાંત ‘સ્થાનિક હિતો અને સંવેદનશીલ ક્ષેત્રોનું સંરક્ષણ’ એ આ કરારની સૌથી મોટી વિશેષતા ગણાય છે.
આ પણ વાંચો : ટેસ્ટ ક્રિકેટના નિયમો બદલાયા, બેટર-વિકેટકીપરને રાહત, ‘બન્ની હોપ’ પર પ્રતિબંધ


