ભારતમાં રેફ્રિજિરેટરની આયાત પર પ્રતિબંધ મૂકાશે, વિદેશી કંપનીઓને લાગશે ફટકો
Updated: Jun 9th, 2022
નવી દિલ્હી, તા.9 જુન 2022,ગુરૂવાર
ભારત સરકાર સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે રેફ્રિજરેટરની આયાત પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહી છે, એવુ ઉદ્યોગજગતના સૂત્રોએ જણાવ્યુ છે.
જો ભારતમાં ફ્રિજની આયાત પર પ્રતિબંધ મૂકાયો તો સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ કંપની અને એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્કની 5 અબજ ડોલરના માર્કેટમાં સંભવિત શિપમેન્ટ બંધ થઈ જશે.
સૂત્રોએ જણાવ્યું કે, સરકાર આયાતકારોને ભારતીય ઓથોરિટી પાસેથી લાઇસન્સ મેળવવું ફરજિયાત કરવાનું વિચારી રહી છે, જ્યારે હાલમાં ફ્રિજની આયાત મુક્ત શ્રૈણીમાં છે. ઉપરાંત ભારતમાં વેલ્યૂ એડેડ કામગીરી માટેની તકો ઊભી કરવા માટે રેફ્રિજરેટર્સની આયાત પર પ્રતિબંધ લાદવામાં આવી શકે છે.
સૂત્રોએ જણાવ્યું કે, આ મામલે એક મહિનાની અંદર નિર્ણય આવી શકે છે. આ અંગે ભારતના વેપાર મંત્રાલયે ટિપ્પણી ન હતી તેમજ સેમસંગ અને એલજીના પ્રવક્તાએ પણ કોઇ પ્રત્યુત્તર આપ્યો નથી.
સુત્રોનું કહેવુ છે કે, લાઇસન્સિંગ સિસ્ટમ નિયમોના પાલનનો બોજો વધારશે અને આયાતમાં વિલંબ થવાનું જોખમ ઊભું થશે.
ભારતમાં ફ્રિજની વાર્ષિક માંગ લગભગ 2.4 કરોડ યુનિટ છે જેની સામે તેની સ્થાપિત મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અંદાજે 1.5 કરોડ યુનિટ છે, આથી માંગનો એક મોટો હિસ્સો આયાત દ્વારા સંતોષાય છે. સરકાર રેફ્રિજરેટરની આયાતના આંકડા જાહેર કરતી નથી.