સોના-ચાંદીની કિંમતો તમામ રેકોર્ડ બ્રેક કરશે, શેરબજાર થશે ક્રેશ, દિગ્ગજ રોબર્ટ કિયોસાકીની 'ભવિષ્યવાણી'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold and Silver Price: બિઝનેસ જગતના જાણીતા પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીએ સોના અને ચાંદીની કિંમતોને લઈને ફરી એકવાર ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. કિયોસાકીએ દાવો કર્યો છે કે, આગામી સમયમાં શેરબજારમાં મોટો કડાકો બોલાશે, જ્યારે કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચશે. તેમની આ ભવિષ્યવાણીના કારણે વૈશ્વિક બજાર સહિત રોકાણકારોમાં ભારે ચર્ચા જાગી છે.
પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં રોબર્ટ કિયોસાકીએ લખ્યું છે કે, ‘દિગ્ગજ માર્કેટ વિશ્લેષક જિમ રિકાર્ડ્સનું માનવું છે કે, વૈશ્વિક બજારમાં સોનાનો દર $10,000 પ્રતિ ઔંસ અને ચાંદીનો દર $200 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે.’ હાલના સમયમાં સોનું આશરે $4,500 પ્રતિ ઔંસ અને ચાંદી $75 પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. જો આ ભવિષ્યવાણી સાચી સાબિત થાય, તો ભારતીય બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹3,00,000 અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹5,00,000ને પાર પહોંચી શકે છે.
વૈશ્વિક શેરબજારોમાં સંકટના વાદળો
ઇંધણની કિંમતોમાં સતત થઈ રહેલા વધારાને કારણે સમગ્ર વિશ્વમાં મોંઘવારીનો ગ્રાફ ઊંચો ગયો છે, જેની સીધી નકારાત્મક અસર શેરબજારો પર જોવા મળી રહી છે. ભૌગોલિક-રાજકીય તણાવ અને આર્થિક અસ્થિરતાને કારણે વૈશ્વિક શેરબજારોમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેમાંથી ભારતીય શેરબજાર પણ બાકાત નથી.
રોબર્ટ કિયોસાકીએ રોકાણકારોને સલાહ આપતાં લખ્યું છે કે, "સમજદાર રોકાણકારો ભવિષ્યની સ્થિતિને અગાઉથી જ પારખી લે છે અને તે મુજબ પોતાના નિર્ણયો લે છે. બજારના આ સંભવિત કડાકાથી ડરવાની કે તેના શિકાર બનવાની જરૂર નથી, બલ્કે યોગ્ય વ્યૂહરચના અપનાવીને તમે આ મંદીમાં પણ અમીર બની શકો છો."
શું વિશ્વ વધુ એક આર્થિક મંદી તરફ ધકેલાઈ રહ્યું છે?
રોબર્ટ કિયોસાકીની આ નવી ભવિષ્યવાણી બાદ આર્થિક જગતમાં ચિંતાનો માહોલ છે. બજારના નિષ્ણાતો વચ્ચે હવે એ મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે, શું વૈશ્વિક અર્થતંત્ર ફરી એકવાર મોટી મંદીના ખપ્પરમાં હોમાવા જઈ રહ્યું છે?
સ્થાનિક બજારમાં શું છે સોના-ચાંદીના ભાવ?
ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના અહેવાલ અનુસાર, શુક્રવારે સરાફા બજાર બંધ થતી વખતે વિવિધ કેરેટના સોના અને ચાંદીના ભાવ નીચે મુજબ હતા:
સોનાની શુદ્ધતા બંધ ભાવ (પ્રતિ 10 ગ્રામ)
24 કેરેટ ₹1,58,117
23 કેરેટ ₹1,57,484
22 કેરેટ ₹1,44,835
18 કેરેટ ₹1,18,588
14 કેરેટ ₹92,498
શુક્રવારે સાંજે જ્યારે ચાંદીનો ભાવ ₹2,66,000 પ્રતિ કિલો નોંધાયો હતો. શનિવાર અને રવિવારના રોજ સરાફા બજારમાં સાપ્તાહિક રજા હોવાના કારણે નવા દર જાહેર કરવામાં આવ્યા નથી.
પીએમ મોદીની સોનું ન ખરીદવાની અપીલ અને ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો
દેશની આર્થિક સ્થિતિ અને ચાલુ ખાતાની ખાધ (CAD)ને સંતુલિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આગામી એક વર્ષ સુધી સોનાની ખરીદી ન કરવા અથવા મર્યાદિત કરવા અપીલ કરી છે. પીએમની આ અપીલ બાદ સરકાર દ્વારા મોટો નિર્ણય લેતા સોના અને ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી સીધી વધારીને 15 ટકા કરી દેવામાં આવી છે, જેથી સોનાની આયાત પર અંકુશ લગાવી શકાય.









