આરોગ્યની રક્ષા કરતી ડેરી પ્રોડક્ટ પર 12% GST, મોઘું થતા નકલી કારોબાર પણ વધ્યો, 5% કરવા માગ
GST On Ghee : આરોગ્યની રક્ષા કરતા દૂધ, દહી, છાશ અને ઘી જેવા ડેરી પ્રોડક્ટ તમામ ઘરોમાં રોજબરોજ ઉપયોગ થાય છે. ઘી એ ભારતીય રસોઈ-આયુર્વેદનો એક અભિન્ન અંગ છે તેમજ સ્વાદ-સુગંધ-અસંખ્ય સ્વાસ્થ્ય લાભો માટે જાણીતું છે, છતાં ઘી પર 12% જીએસટી લાગુ પડે છે. ચોંકાવનારી વાત એ છે કે, ઘી પર 12% જીએસટી લાગુ કરાયા બાદ તેનો નકલી કારોબાર વધી ગયો છે. ડેરી સેક્ટર સાથે સંકળાયેલા લોકોએ ઘી પર પાંચ ટકા જીએસટી કરવાની સરકારને માંગ કરી છે.
વધુ જીએસટીના કારણે નકલી ઘીનો કારોબાર વધ્યો
ભારતીય ડેરી સંઘના ચેરમેન ડૉ.આર.એસ.સોઢીએ કહ્યું કે, ‘ઘી પર 12% જીએસટીના કારણે ઉદ્યોગની આવક અને આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે. એટલું જ નહીં વધુ ટેક્સના કારણે ઘીથી બનતી પ્રોડક્ટમાં મિલાવટ પણ વધી ગયું છે. જો સરકાર ઘીમાં જીએસટી ઘટાડી પાંચ ટકા કરશે તો આરોગ્યની સુરક્ષા, બ્રાન્ડેડ ઘીની માંગમાં વધારો અને નકલી ઘી પર અંકુશ આવશે. જેના કારણે અમારા આરોગ્યની રક્ષા પણ થશે.’
દહી-છાશ પર 5%, ઘી પર 12% GST
ડેરી પ્રોડક્ટ્સો પર જુદા-જુદા જીએસટી દરો લાગુ છે. સરકારે દહી-છાશ પર પાંચ ટકા જીએસટી લાગુ કર્યો છે, તો ઘી પર બમણો 12% જીએસટી લાગુ કરેલો છે. સોઢીએ તેમાં ઘટાડો કરવાની માંગ કરી કહ્યું કે, સંસ્કૃતિ, ભોજન અને ગ્રામીણ અર્થવ્યવસ્થામાં ઘી ખૂબ જ મહત્ત્વનું છે, તેથી ઘી પર વધુ જીએસટી બોજ છે.’
આ પણ વાંચો : ભારતમાં ધનિકો મોંઘી કારના બુકિંગ ધડાધડ કરી રહ્યા છે કેન્સલ, જાણો શું છે કારણ
ઘીની માર્કેટ વેલ્યુ 3.2 લાખ કરોડ રૂપિયા
દેશમાં ડેરી પ્રોડક્ટ્સમાં ઘીની મોટી ભૂમિકા છે, કારણ કે દર વર્ષે લગભગ 30% દૂધને પ્રોસેસ કરીને ઘી બનાવવામાં આવે છે. દર વર્ષે ઘીની માંગમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વર્ષ 2023માં ઘીની માર્કેટ વેલ્યૂ 3.2 લાખ કરોડ રૂપિયા હતી. નિષ્ણાતોના મતે 2032 સુધીમાં ઘીની માર્કેટ વેલ્યૂ બમણી થઈ શકે છે. ઘી આરોગ્યવર્ધક હોવા છતાં તેનું સેવન યોગ્ય માત્રામાં કરવું મહત્વપૂર્ણ છે, કારણ કે તેમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ ઊંચું હોય છે. જે લોકોને કોલેસ્ટ્રોલ કે લિવરની સમસ્યા હોય તેમણે ઘીનું સેવન કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. ઘી માત્ર એક ખાદ્ય પદાર્થ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અને સ્વાસ્થ્ય પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
ઓગસ્ટમાં યોજાશે GST કાઉન્સીલની બેઠક
જીએસટી કાઉન્સીલની ઓગસ્ટ-2025માં 56મી બેઠક યોજાવાની છે. આ દરમિયાન કાર્બોનેટેડ ડ્રિંક્સ, ડેરી પ્રોડક્ટ અને અન્ય ચીજ-વસ્તુમાં લાગુ જીએસટી દરોમાં ફેરફાર કરવાની ભલામણો પર વિચાર કરવામાં આવી શકે છે. GST કાઉન્સિલ સમયાંતરે દરોમાં સુધારો કરતી રહે છે. 53મી GST કાઉન્સિલની બેઠકમાં દૂધના ડબ્બા (સ્ટીલ, લોખંડ અને એલ્યુમિનિયમના) પર, ભલે તેનો ઉપયોગ ગમે તે હોય, 12% GST લગાવવાની ભલામણ કરવામાં આવી છે, જે CBIC દ્વારા સૂચિત થયા બાદ અમલમાં આવશે.
આ પણ વાંચો : 3000 કરોડના ફ્રોડ મામલે દરોડા, અનિલ અંબાણીના કૌભાંડોનો કુલ આંકડો ચોંકાવનારો