Bank KYC: જો તમારું કોઈ બૅન્ક ખાતું હોય અને તમારું KYC અપડેટ ન થયું હોય, તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. ભારતીય રિઝર્વ બૅન્કે(RBI) તાજેતરના એક અહેવાલમાં ચેતવણી આપી છે કે, KYC અપડેટ્સમાં વધતો જતો બેકલોગ અને બેદરકારી બૅન્કોના ફ્રોડને અટકાવવાની ક્ષમતાને નબળી પાડી રહી છે. ગામડાઓ અને નાના શહેરોમાં આ સમસ્યા આવી રહી છે. આ વિસ્તારોમાં ઘણીવાર લોકો KYCને અવગણે છે અથવા તો કોઈ કારણોસર તેને અપડેટ નથી કરાવી શકતા અને ફ્રોડનો શિકાર બની જાય છે.
RBIએ બૅન્કોને આપી આ સલાહ
RBIએ બૅન્કોને શક્ય તેટલી ઝડપથી KYC અપડેટ્સ પૂર્ણ કરવા માટે કહ્યું છે, નહીંતર ફ્રોડની ઘટનાઓ વધશે. RBIએ બૅન્કોને સલાહ આપી છે કે, નાની બ્રાન્ચોમાં ખાસ ફોકસ કરીને KYC અપડેટ કરવા માટે કેમ્પનું આયોજન કરો અને મોટા પાયે જાગૃતિ અભિયાન ચલાવો. RBI દ્વારા પહેલા જ જુલાઈથી ઑક્ટોબર 2025 દરમિયાન ગ્રામ પંચાયત સ્તરે દેશવ્યાપી re-KYC ડ્રાઇવ ચલાવવામાં આવી ચૂકી છે.
RBIએ બૅન્કોને આપ્યા નિર્દેશ
RBIએ બૅન્કોને નિર્દેશ આપ્યો છે કે, KYC અપડેટ કરવા અથવા નવા અકાઉન્ટ ખોલવા માટેની અરજીઓને મેકેનિકલ રીતે રિજેક્ટ ન કરો. કોઈપણ રિજેક્શનનું ઠોસ કારણ અને રૅકોર્ડ હોવો જોઈએ. સમજ્યા-વિચાર્યા વિના રિજેક્ટ કરવાથી કસ્ટમર પરેશાન થાય છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સાયબર અને ઓપરેશનલ ઘટનાઓ ફાયનાન્શિયલ સ્થિરતા માટે વધતો ખતરો છે. ફ્રોડ વધુ સ્માર્ટ અને ડિજિટલ બની ગયા છે.
ડિજિટલ ફ્રોડ રોકવા માટે ઉઠાવી રહ્યા પગલા
RBI હોમ મિનિસ્ટ્રી સહિત અન્ય એજન્સીઓ સાથે મળીને ડિજિટલ ફ્રોડ રોકવા માટે પગલાં ભરી રહી છે. આ માટે RBIએ બે મોટા AI ટૂલ્સ પણ લોન્ચ કર્યા છે. RBIએ બૅન્કોને ટેલિકોમ ડિપાર્ટમેન્ટની મોબાઇલ નંબર રિવોકેશન લિસ્ટથી કસ્ટમર ડેટાબેઝ સાફ કરવા પણ કહ્યું છે. આનાથી વોઇસ કોલ અને SMS દ્વારા થતાં ફ્રોડને રોકી શકાય છે.
આ ઉપરાંત કેન્દ્રીય બૅન્કે મિસ-સેલિંગ(ખોટી રીતે પ્રોડક્ટ વેચવી)ને મોટું રિસ્ક ગણાવ્યું છે. તેના માટે ટૂંક સમયમાં એડવર્ટાઇઝિંગ, માર્કેટિંગ અને સેલ્સ અંગે નવી ગાઇડલાઇન જારી કરવામાં આવશે. ત્યારબાદ કસ્ટમરને ગેરમાર્ગે ન દોરી શકાશે. RBIએ બૅન્કોને ઇન્ટરનલ કંટ્રોલ મજબૂત કરવા માટે કહ્યું છે.


