વિતેલા નાણાંકીય વર્ષમાં ખાદીના વેચાણમાં 28 ટકાનો જંગી વધારો
- ખાદીના કાપડમાં વિવિધતા અને નાવીન્યતા વધતા યુવા વર્ગ હવે ખાદી તરફ આકર્ષાયો છે
Updated: Apr 17th, 2019
નવી દિલ્હી, તા. 17 એપ્રિલ, 2019, બુધવાર
વિતેલા ૨૦૧૮- ૧૯ના નાણાંકીય વર્ષ દરમ્યાન લોકોમાં ખાદીનો ક્રેઝ ફરી એકવાર વધતા તેના વેચાણમાં ૨૮ ટકાનો નોંધપાત્ર વધારો થવા પામ્યો છે.
ખાદી અને વિલેજ ઇન્ડ. કમિશને જાહેર કરેલા આંકડા મુજબ વિતેલા ૨૦૧૮- ૧૯ના નાણાંકીય વર્ષમાં ખાદીમાં તમામ ક્ષેત્રે માંગમાં થયેલા વધારાને પગલે તેનું વેચાણ અગાઉના નાણાંકીય વર્ષની તુલનાએ ૨૮ ટકા વધીને રૂા. ૩૨૧૫ કરોડ રહ્યું હતું. અગાઉના ૨૦૧૭- ૧૮ના નાણાં વર્ષ દરમિયાન ખાદીનું વેચાણ રૂા. ૨૫૫૦ કરોડ રહ્યું હતું.
છેલ્લા પાંચ વર્ષના ખાદીના વેચાણ પર એક નજર કરીએ તો તેમાં ભારે ચઢાવ- ઉતાર જોવા મળ્યો છે. ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫ના નાણાંકીય વર્ષમાં ખાદીનં વેચાણ સીંગલ ડીજીટમાં એટલે કે અનુક્રમે ૬ ટકા અને ૮ ટકા વધ્યું હતું. જો કે, ૨૦૧૫-૧૬માં તેના વેચાણમાં ૨૭ ટકાનો વધારો જોવા મળ્યો હતો.ત્યારબાદ ૨૦૧૬- ૧૭માં ખાદીનું વેચાણ ૨૯ ટકાના દરે વધ્યું હતું. જો કે, ૨૦૧૭- ૧૮માં તેમાં ફરીથી પીછેહઠ થઈ હતી અને સૂચિત વર્ષાન્તે ૧૭ ટકા વધ્યું હતું. જે તાજેતરમાં પૂર્ણ થયેલા નાણૈાં વર્ષમાં ૨૮ ટકા વધ્યું છે.
જાણકારોના જણાવ્યા મુજબ ખાદીના વસ્ત્રોનો હવે ફેશન ટ્રેન્ડ વધી રહયો છે. હાલ યંગસ્ટર્સમાં પણ ખાદી પ્રત્યેનો લગાવ વધ્યો છે. આ ઉપરાંત હવે ખાદીના કાપડમાં પણ વિવિધતા તેમજ નાવીન્યતા જોવા મળે છે. જેના કારણે યુવા વર્ગ પણ ઙવે ખાદીના વસ્ત્રો તરફ આકર્ષાયો છે.