અલકા ચોકમાં દાદાગીરીનો વિરોધ કરતા આધેડ પર છરી અને લાકડી વડે જાનલેવા હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ચાર ઈસમો સામે નીલમબાગ પોલીસ મથકે ગુનો નોંધાયો
ભત્રીજાને લુખ્ખાગીરી કરતા તત્વો સાથે ન ફરવા શિખામણ આપવી કાકાને ભારે પડી
ભાવનગર - ભાવનગર શહેરના અલકા ટોકિઝ પાસે આવેલા વાલ્મિકી વાસ વિસ્તારમાં અસામાજિક તત્વોની દાદાગીરીનો વિરોધ કરવા બાબતે એક આધેડ પર છરી, લાકડી અને ઢીકાપાટુ વડે પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર, અલ્કા ચોક નજીક રહેતા ૪૩ વર્ષીય અતુલભાઈ પુનાભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ઘર નજીક રહેતો અર્જુન ઉર્ફે બોબી કીરીટભાઈ ધરણીયા અવારનવાર વિસ્તારમાં ગાળો બોલી દાદાગીરી કરતો હતો. અતુલભાઈનો ભત્રીજો હાદક પણ આ બોબી સાથે રખડતો હોવાથી, અતુલભાઈએ હાદકને અલ્કા ટોકિઝ પાસે બોલાવી બોબી સાથે ન ફરવા અને માથાકૂટથી દૂર રહેવા ઠપકો આપ્યો હતો.આ બાબતનો ખાર રાખી હાદક, અર્જુન ઉર્ફે બોબી, જતીન કિરીટભાઈ ધરણીયા અને તેના એક મિત્રે ભેગા મળી અતુલભાઈ સાથે ઝપાઝપી કરી હતી. ખીજાયેલા હુમલાખોરોએ અતુલભાઈને લાકડી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન જતીને છરી વડે હુમલો કરતા અતુલભાઈએ હાથ આડો ધરતા તેમને કાંડાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.બનાવને પગલે આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપીઓ પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા. ઈજાગ્રસ્ત અતુલભાઈને તાત્કાલિક સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમના કાંડાના ભાગે ટાંકા આવ્યા છે.આ બનાવ અંગે નીલમબાગ પોલીસે અતુલભાઈની ફરિયાદના આધારે બી.એન.એસ. તથા જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




