15 દિવસથી રસ્તાનું ધોવાણ, તંત્રની આંખ ક્યારે ખૂલશે? : અટલાદરા ગામમાં રસ્તાનું ધોવાણ, તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં રોષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા નજીક આવેલા અટલાદરા ગામના મુખ્ય માર્ગ પર નાળા પાસે રસ્તાનું ધોવાણ થતાં છેલ્લા 15 દિવસથી જોખમી સ્થિતિ સર્જાઈ છે. રસ્તાની બંને તરફ માટીનું ધોવાણ થતાં માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા વહેલી તકે સમારકામ હાથ ધરવામાં ન આવતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અટલાદરા ગામના રહેવાસી હરીશ ચૌહાણે જણાવ્યું હતું કે, “ગામના મુખ્ય માર્ગ પરથી નાળું પસાર થાય છે, જેના માળખાના નવીનીકરણની જરૂરિયાત છે. મુખ્ય માર્ગની માટી નાળા તરફ ધોવાઈ રહી છે.” તેમણે ઉમેર્યું કે આ અંગે વોર્ડ નંબર 12ના અધિકારીઓને ઘટનાસ્થળના ફોટા મોકલી પરિસ્થિતિની જાણ કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી.
હરીશ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, આ માર્ગ પરથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. ખાસ કરીને રાત્રિના સમયે રસ્તાની બંને તરફ થયેલા ધોવાણને કારણે જાનહાનિની શક્યતાને નકારી શકાય તેમ નથી. તેમણે આક્ષેપ કર્યો કે ચૂંટણી જીત્યા બાદ કાઉન્સિલર પણ સ્થળ પર આવ્યા નથી અને તેમને રજૂઆત કરીને ગ્રામજનો થાકી ગયા છે.




